![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/tilakvada.webp)
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો રવિ સીઝન માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા અને નહેર બન્યાના 18 વર્ષ પછી પણ ખેતી માટે પાણીનાં વખલા મારવા પડે છે.
ખેડૂતને જગતનો તાત કહેવાય છે. આ ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ આટલી બધી યોજનાઓ અમલમાં મુક્યા પછી પણ કેટલાક વિસ્તારો એવા છે કે, જ્યાં ખેતી કરવા માટે માત્ર વરસાદ પર નિર્ભર રહેવું પડે છે. કેટલાક વિસ્તારોમાં નહેર બનાવવામાં આવી છે. પરંતુ નહેર બને 18 વર્ષ થયાં પછી પણ આ નહેરમાં પાણી મળ્યું નથી. તો કેટલાક વિસ્તારોમાં બિલકુલ તૂટેલી હાલતમાં નહેરો જોવા મળી રહી છે.
આ ખેડૂતો દ્વારા અધિકારીઓને જાણ કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યો નથી. આ બાબતે નર્મદા જિલ્લાના મળશન, કંથરપુરા, વાડિયા, કાલાઘોડા, ઉચાદ સહિત ઘણા ગ્રામ્ય વિતારોની મુલાકાત લેતા જાણવા મળ્યું છે. આ વિસ્તારોમાં આજ સુધી સિંચાઈ યોજનાનો લાભ મળ્યો નથી. ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે.
વધુમાં આ બાબતે કૌસિક પ્રવિણ બારીયા મળશન ગામના ખેડૂત જણાવ્યું કે, અમે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવીએ છે, પરંતુ ખેતી માટે માત્ર વરસાદ પર આધાર રાખવો પડે છે. કારણ કે અહીંયા સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા નથી. વર્ષો પહેલા માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ આજે 18 વર્ષ થયાં પછી પણ આ કેનાલમાં પાણી આવ્યું નથી અને અધિકારીઓ કઈ સાંભળતા નથી.
કાલાઘોડા ગામના ખેડૂત મિતેષ કંચન બારીયા જણાવ્યું કે, અમારે ખેતી માટે વરસાદ પર આધાર રાખવો પડે છે. કારણ કે ખેતી માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી. ઘણી વખત વરસાદ નહિ પડવાના કારણે દેવું કરીને લાવેલા મોંઘાદાટ બિયારણ બગડી જાય છે. તો ઘણી વખત વધુ વરસાદ પડવાથી ખેતીમાં ભારે નુકશાન થાય છે. તો ખેડૂત જાય તો જાય ક્યાં? વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારી સાંભળતું નથી. જેથી વહેલી તકે ખેતી માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતો બાગાયત ખેતી પણ કરી શકે.