બોરદાના મેળામાં ચાર ઇસમોએ પીએસઆઇ અને જમાદાર પર પથ્થર મારો કરી કારને પણ નુકશાન પહોંચાડ્યું
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
સોનગઢ તાલુકાના બોરદા ગામે હોળીના મેળામાં ગુરુવારે રાત્રીએ કુંડાળું કરી બેસેલા લોકોની તપાસ કરવા ગયેલાં પોલીસ પર પથ્થર મારો કરી હુમલો કરાયો હતો અને જમાદારની કારના કાચ પણ તોડી નંખાયા હતાં. આ અંગે સોનગઢ પોલીસ મથકે ચાર આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સોનગઢ તાલુકાના બોરદા ગામે હોળીનો મેળો યોજાઈ છે તેમાં આસપાસના ગામડાંમાંથી લોકો મેળો માણવા આવે છે. મેળામાં સોનગઢ પોલીસ બંદોબસ્ત માં તૈનાત હોય ગુરુવારે સોનગઢ પીએસઆઇ કે આર ચૌધરી અને ફરિયાદી ધર્મેશ ચૌધરી વગેરે મેળામાં ઉપસ્થિત હતાં ત્યારે રાત્રીના 11.30 કલાકે હાટ બજારની સામે ખુલ્લાં મેદાનમાં ચાર ઇસમો કુંડાળું કરી અસામાજિક પ્રવૃત્તિ કરતાં હોવાની શંકાના આધારે પોલીસ ફરજના ભાગ રૂપે એ સ્થળે ચેકિંગ કરવા ગયાં હતાં. આ સમયે ત્યાં બેસેલા યશવંત વસાવા રહે.ગુંદી તા.સોનગઢ અને અન્ય ત્રણ એકદમ ઉશ્કેરાટમાં આવી પોલીસ સામે પથ્થર મારો શરૂ કરી દીધો હતો. આ ઇસમો પથ્થર મારતાં મારતાં પોલીસ તરફ જ આવતાં હોય આખરે પોલીસે પીછે હટ કરવાની ફરજ પડી હતી.
આરોપીઓ આટલેથી જ નહીં અટકતાં જમાદારની કાર પર પણ પથ્થર ફેંકી તેના કાચ તોડી નાંખ્યા હતા અને પછી અંધારાનો લાભ લઇ ઓ નાસી ગયાં હતાં. પોલીસ પરના હુમલાના બનાવમાં પીએસઆઇ કે આર ચૌધરીને કોણીમાં અને છાતી તથા ફરિયાદી ધર્મેશ ચૌધરીને છાતીમાં બંને સાઈડ, કોણીના અને પીઠમાં પથ્થરો વાગતાં સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતાં. બનાવ અંગે સોનગઢ પોલીસ મથકે ગુંદી ગામના માજી સરપંચ એવાં યશવંત વસાવા રહે. ગુંદી અને અન્ય ત્રણ આરોપી સામે પોલીસ પર પથ્થર મારો કરી નાની મોટી ઇજા પહોંચાડવા સામે અને ફરિયાદી તથા પીએસઆઇની કાયદેસરની ફરજમાં રુકાવટ સંદર્ભે ગુનો દાખલ કરાયો હતો.
જુગાર સંદર્ભે હુમલાનો બનાવ બન્યોની ચર્ચા
બોરદા ગામે હોળીના તહેવાર નિમિત્તે વર્ષોથી મેળાનું સુંદર આયોજન ગ્રામજનો દ્વારા કરવા માં આવે છે. જો કે આ મેળા દરમિયાન કેટલાંક ઇસમો જુગાર રમતાં હોવાની બાબત પણ ચર્ચામાં આવી છે.પોલીસ તંત્ર દ્વારા મેળા માં કોઇ પણ જાતની અસામાજિક પ્રવૃત્તિ ન કરવા ની અગાઉ થી જ ચેતવણી આપવામાં આવી હતી પણ કેટલાંક લોકો એને અવગણીને પણ જુગાર રમતાં હોવાની બાબત સાંભળવા મળી છે.પોલીસ પર આ હુમલાનો બનાવ પણ મેળામાં રમાતા જુગાર સંદર્ભે બન્યો હોવાની ચર્ચા થઈ રહી છે પણ તેમાં સાચું શુ એ તો તપાસ દરમિયાન જ બહાર આવશે.