![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/CM-IN-Valsad.webp)
15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં કરવામાં આવી રહી છે. આજે સવારે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તેમજ સાથે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ હવે ગુજરાત 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધનના મુખ્ય અંશ
- આજે જ્યારે વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આદીવાસી પટ્ટામાં ડાંગ જિલ્લાના 279 ગામોમાં સર્ફેસ સોર્સ આધારીત પાણી પૂરવઠા માટેની 866 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરીએ છીએ. ડાંગ જિલ્લાને આ યોજનાથી રોજનું 37 MLD પાણી આપવા 866 કરોડ રૂપિયાની પાણી પૂરવઠા યોજનાને મંજૂરી આપી છે.
- ગરીબ નાગરિકોને વ્યાજખોરોથી બચાવવા માટે સરકારે 4 હજાર જેટલા લોક દરબારો કર્યા છે.
- બિપરજોય વાવાઝોડામાં 1 લાખથી વધુ લોકોને સમયસર સલામતરીતે આશયસ્થાનો પર પહોંચાડીને વાવાઝોડાનો મક્કમતા સાથે સામનો કર્યો હતો
- ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરીથી મુક્તિ હોય રાજ્ય સરકારે ગુનો આચરતા તત્વો સામે કડકહાથે કામ લઈને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતિ સાથે સુરાજ્યની અનુભૂતી કરાવી છે
- પરંપરાગત ઈધણથી ચાલતા વાહનોને બદલે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહન પોલિસી અમલમાં મુકવામાં આવી છે. અત્યારસુધીમાં 85 હજારથી વધુ ઈ વાહન ચાલકોને રૂપિયા 215 કરોડથી વધી રકમની સબસીડી સરકારે ચુકવી છે
- વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગ્રીન ગ્રોથનો મંત્ર આપ્યો છે, ગ્રીન ગ્રોથ અને ગ્રીન ક્લીન એનર્જીની દિશામાં ગુજરાતે વિરાટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે
- કચ્છના ખાવડા નજીક 30 ગીગાવોટનો હાઈબ્રિટ રિન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે.
- ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને હવે ગુજરાત 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત
- વડાપ્રધાને દેશવાસીઓને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યુ હતું, તેમના આહવાનને ગુજરાતે ઉત્સાહ સાથે જીલી લીધુ છે. અત્યારે રાજ્યમાં 33 જિલ્લામાં 2645 અમૃત સરોવર બની ગયા છે.
- સિંચાઈને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અંદાજે 69.11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા વિકસાવી છે
- ચાલુ વર્ષે ખરીફ સિઝન માટે રૂ. 30 કરોડ મંજૂર કર્યા છે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, પોણા 8 લાખ ખેડૂતો 8.84 લાખ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે
- ઉદ્યોગ, વ્યાપાર, પ્રવાસન જેવા ક્ષેત્રો સાથે કૃષિ સિંચાઈ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસની ગતિ તેજ બનાવી છે
- પ્રવાસન ક્ષેત્રે પણ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં નવા કિર્તિમાન સ્થાપ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ, સોમનાથ, અંબાજી જેવા યાત્રાધામમાં ગત વર્ષે 17.80 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યાં હતા.
- ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે, સેમિકન્ડક્ટરનો સૌ પ્રથમ પ્લાન્ટ સાણંદમાં આકાર લઈ રહ્યો છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે આ સાથે જ ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય બન્યુ છે
- વાઈબ્રન્ટ સમિટ આજે બેંચ માર્ગ બની ગઈ છે, જાન્યુઆરી 2024માં આપણે વાઈબ્રન્ટ સમિટની 10મી કળી યોજવા જઈ રહ્યા છીએ
- વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા અને એ પારસીઓએ પણ આઝાદીની લડાઈમાં અમુલ્ય યોગદાન આપ્યું હતું. મારી માટી અભિયાન હેઠળ દેશના અઢી લાખ ગામની માટી દિલ્હી પહોંચાડાશે અને ત્યા વિરશહિદોના સ્મારક પાસે અમૃત વાટીકાનું નિર્માણ કરાશે, આવો આપણે બધા આ અભિયાનમાં યોગદાન આપીએ.
- બજેટના 5 સ્તંભ તે ગુજરાતના વિકાસના 5 સ્તંભ છે, આદીજાતીના બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ મળે અને આદિવાસીઓનો વિકાસ થાય તે માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકી છે, આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ -2 યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ કરોડનો ખર્ચ કરવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.
- મહિલાઓના કલ્યાણની પણ સરકારે દરકાર લીધી છે, સર્ગભાઓના પોષણમાં સુધારો લાવવા દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો તેલ આપવામાં આવ્યું છે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.50 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે
- 1600 કિમી લાંબો દરિયાકિનારો ધરાવતા આપણા રાજ્યમાં 38 ટકા કાર્ગોનું પરિવહન થઈ રહ્યુ છે.
વલસાડ શહેર દેશભક્તિના રંગે રંગાયુ
રાજ્યકક્ષાની ઉજવણીમાં બજેટમાં મંજૂર થયેલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પોલીસ પરેડ સહિત કાર્યક્રમો યોજાયા છે. વલસાડની તમામ સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવી છે, સમગ્ર શહેર દિવાળીની જેમ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. ઠેર ઠેર તિરંગા લાઈટિંગથી શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. જાહેર માર્ગો ઉપર તિરંગાની લાઈટિંગનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.
રાજ્યપાલે નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી
ઉલ્લેખનીય છે કે, વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એટહોમ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે સરકારી કચેરીઓમાં વીજળી બચાવવાનું અભિયાન છેડવાની હાકલ કરી હતી. વલસાડ સ્થિત સી. બી.પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલે વલસાડ સહિત રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.