![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/balasinor-police-station-780x470.webp)
મહિસાગર જિલ્લામાં દલિત ક્લાર્કના મૃત્યુ મામલે કોર્ટે 4 અધિકારીઓ સામે એટ્રોસિટીનો ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. જે બાદ પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ચાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદ થતા અધિકારીઓ ભૂગર્ભમાં ઉતર્યા
નામદાર કોર્ટના આદેશ બાદ મહીસાગર જિલ્લા બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ.વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી. ફરિયાદ થતા જ અધિકારીઓ પોલીસ પકડથી દૂર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
ક્લાર્કે મુખ્યમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી હતી
કડાણા મામલતદાર કચેરીમાં નોકરી કરતા દલિત કલાર્ક અલ્પેશ માળીએ ઉપલા અધિકારીઓ પરેશાન કરે છે તેવો મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. 21 જાન્યુઆરીના રોજ પત્ર લખ્યા બાદ 29 જાન્યુઆરીના રોજ કલાર્ક અલ્પેશ માળી તેના બાલાસિનોરના નિવસ્થાન પર મૃત મળી આવ્યા હતા. અલ્પેશ માળીના ઈન્દોર રહેતા બહેન કોકિલાબેન ચૌહાણ દ્વારા પાંચ એપ્રિલના રોજ પોતાના ભાઈના મોત પાછળ જવાબદાર ઉપરી અધિકારીઓ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જોકે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં ન આવતા અલ્પેશ માળીની બહેને કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.
કોર્ટે ફરિયાદ નોંધવા આપ્યો હતો આદેશ
મૃતકની બહેને પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે મહીસાગર જિલ્લાની નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી વકીલ મારફતે દાખલ કરી હતી. ક્રિમિનલ ઇન્કવાયરીનો ચૂકાદો મહીસાગર જિલ્લા નામદાર કોર્ટ દ્વારા શનિવારના રોજ આપવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા ક્રિમિનલ ઇન્કવાયરીલ ગ્રાહ્ય રાખી મહીસાગર પોલીસને પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ IPCની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરતો ઓર્ડર કરવામાં આવ્યો હતો.