![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/navsari-in-mla-780x470.webp)
રાત દિવસ મહેનત કર્યા પછી હવે જ્યારે જ્ઞાન સહાયકના નામે શિક્ષકોને કાયમી નોકરી નહીં આપવાની સ્કીમ સરકાર દ્વારા લવાઈ છે તે અમને મંજુર નથી. આવા નિવેદનો સાથે છેલ્લા ઘણા દિવસોથી લોકો અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ સરકાર આ મામલે ટસની મસ થતી નથી. આ અંગે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નવસારીમાં મોટી રેલી નીકળી હતી. જેમાં શિક્ષકો ઠેરઠેરથી જોડાયા હતા. જેઓની માગ હતી કે જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવે.
જ્ઞાન સહાયક મામલે રસ્તે બેસી કર્યા સૂત્રોચ્ચાર
નવસારી ખાતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં આજે શહેરમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રાજ્યના ખૂણે ખૂણેથી આ રેલીમાં શિક્ષકો જોડાયા હતા જેઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. આ અગાઉ નવસારીમાં વાંસદા અને ચીખલીમાં પણ રેલી કાઢીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પણ જોડાઈને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ નોંધાવી રહ્યા છે. દિવસ રાત મહેનત કરીને લાયકાત મેળવ્યા બાદ જ્ઞાન સહાયક તરીકે કામ નહીં પરંતુ કાયમી નોકરી મળે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે નવસારી સરકીટ હાઉસ ખાતેથી વિશાળ રેલી નીકળી કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં રસ્તે બેસીને સરકાર વિરોધી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. રામધૂન, હનુમાન ચાલીસા સાથે સુત્રોચાર કરી નવસારી કલેકટર આવેદન પત્ર સ્વીકારવા ન આવતા નવસારીમાં નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયને આવેદન આપ્યું હતું.