રાજ્યના શિક્ષણ મંત્રીની માનવતા સામે આવી
પોતાના મત વિસ્તારના ગામમાં અનાથ 2 સગી બહેનોને દત્તક લીધી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/પ્રફુલ-પાનસેરિયા.webp)
કામરેજ તાલુકાના લાડવી ગામે હળપતિ વાસમાં રહેતી 8 વર્ષીય સંજના રાઠોડ અને 6 વર્ષીય વંશીકા રાઠોડ નામની 2 સગી બહેનો 1 માસ પહેલા માતા-પિતા વગરની થઈ હતી. 1 વર્ષ પહેલાં માતા બંને દીકરીઓને પિતા અને વૃદ્ધ દાદાના ભરોસે છોડી ઘર છોડીને ચાલી ગઈ હતી. જ્યારે 1 માસ પહેલા પિતા પણ બંને દીકરીઓને એકલી મૂકી સ્વર્ગસ્થ થયા હતા. બંને દીકરીઓ પોતાના દાદાના ભરોસે લાડવી ગામે હળપતિ વાસમાં તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતી જ્યાં તૂટેલા વાંસ અને પતરામાંથી જિંદગી જાણે આ અનાથ દીકરીઓ પર હસતી હતી. જોકે ગામના ઉપ સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફફુલ પાનસેરિયાને કરવામાં આવતા મંત્રી આજરોજ જાતેજ લાડવી ગામે પહોંચ્યા હતા અને ત્યાં જઈ દીકરીઓની પરિસ્થિતિ જોતા તેઓનું પણ હૃદય દ્રવી ઉઠ્યું. મંત્રીએ તરત બંને દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો અને દીકરીઓના અભ્યાસની તમામ જવાબદારી માથે લઈ લીધી હતી. સાથે સાથે દીકરીઓ માટે પાક્કું સુખ-સુવિધા વાળું મકાન બનાવી આપવાની પણ મંત્રીએ જાહેરાત કરી હતી. સમાજ માટે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પાડતું સરાહનીય કાર્ય કર્યું હતું.