33 ટકા નુકસાનીના ક્રાઇટેરિયાથી ખેડૂતો નાખુશ
અગાઉ વાવાઝોડા સમયે નુકશાન થયું હતું તેની કોઈ સહાય મળી નથી. ફકત જાહેરાત કરે છે, પરંતુ જ્યારે ખેડૂતો ભાવ નક્કી કરશે ત્યારે ખેડૂત લાભ થશે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/રાહત-પેકેજ-780x450.jpg)
- ખેતી પાક નુકશાની અંગે સરકારે સર્વેના આદેશ કર્યા
- પાક નુકશાનીના સર્વે અંગે ખડૂતોએ આપી પ્રતિક્રીયા
- કમોસમી વરસાદથી ખેડુતોને ભારે નુકશાન થયું છે: ખેડૂતો
- સરકાર દ્વારા બહુજ ઓછી સહાય આપવાની જાહેરાત કરી છે: ખેડૂત
- સરકારે કરેલી જાહેરાત છે તે બિલકુલ વ્યાજબી નથી: ખેડુતો
રાજ્યમાં માવઠામાં નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરવે થયા બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા સરવે કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સરકાર ખુલ્લા મનથી ખેડૂતોને મદદરૂપ થશે. તેમણે કહ્યું કે SDRF નિયમ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે. સરવે થયા બાદ જે વિગતો સામે આવશે તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે.
આ તરફ હવે માવઠા બાદ ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે સર્વે બાદ જે ખેડૂતોને નુકસાન થયું છે તેને રાજ્યની સરકાર રાહત વળતર પેટે આપશે તેવી જાહેરાત કર્યા બાદ હવે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડુતોને ભારે નુકશાન થયું છે. ખેડૂતો કહી રહ્યા છે કે, નુકસાન થયું હોય તેવા તમામ ખેડુતોને સહાય આપવી જોઈએ. આ સાથે ખેડૂતોએ કહ્યું કે, કપાસ, જીરૂ, વરીયાળી, ચણા, જીરૂ, સરગવોના પાકને નુકશાન પહોંચ્યું છે. સરકાર દ્વારા બહુજ ઓછી સહાય આપવાની જાહેરાત કરી છે, સરકારે કરેલી જાહેરાત છે તે બિલકુલ વ્યાજબી નથી.
દસ્કોઇ તાલુકાનાં ખેડૂતો ડાંગર પાક થયો ફેલ
અમદાવાદના દસ્કોઇ તાલુકાનાં ખેડૂતો ડાંગર પાક ફેલ થયો છે. વિગતો મુજબ હજારો હેકટર ડાંગરનો પાક ફેલ થયા બાદ હવે સરકારની જાહેરાતને ખેડૂતો આવકારી છે. આ સાથે ખેડુતોએ કહ્યું ક , સરકારે સહાય ધોરણમાં નીતિ નિયમો બદલવા જોઈએ. સરકાર ત્વરિત સર્વે કરે તો ખેડૂતોને આશા બંધાય. ખેડૂતોએ કહ્યું કે, સરકાર જાહેરાત કરે છે, પરંતુ ખેડૂતો સમયસર સહાય મળતી નથી. આ સાથે કહ્યું કે, અગાઉ વાવાઝોડા સમયે નુકશાન થયું હતું તેની કોઈ સહાય મળી નથી. ફકત જાહેરાત કરે છે, પરંતુ જ્યારે ખેડૂતો ભાવ નક્કી કરશે ત્યારે ખેડૂત લાભ થશે.
ગીર સોમનાથના ખેડૂતોએ શું કહ્યું ?
બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પડેલા માવઠા બાદ કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે સર્વે બાદ જે ખેડૂતોને નુકસાન થયું છે તેને રાજ્યની સરકાર રાહત વળતર પેટે આપશે તેવી જાહેરાત કરી છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની આ જાહેરાતને પોકળ ગણીને માત્ર કાગળ પર થતી કાર્યવાહી સાથે સરખાવીને તેનો વિરોધ કરી રહ્યા છે.
રાજ્ય સરકારની જાહેરાતને ખેડૂતોએ નકારી
રવિવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં માવઠાનો વરસાદ પડ્યો હતો જેને કારણે કપાસ કઠોળ અને શિયાળુ પાકોને નુકસાન થવાની પૂરી શક્યતાઓ એ વ્યક્ત થઇ રહી છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્ય સરકાર માવઠા બાદની સ્થિતિનો સર્વે કરાવ્યા બાદ ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલની આ વાતને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો મજાક સમાન ગણાવીને સરકાર ની જાહેરાતને પોકળ ગણાવી રહ્યા છે.
અતિવૃષ્ટિના સર્વે બાદ રાહત ન મળી
ચોમાસાની ઋતુ દરમિયાન ગિર સોમનાથ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ વરસાદ કરતા બહોળા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો જેને કારણે મગફળી કપાસ સહિત કઠોળ વર્ગના કૃષિ પાકોને ખૂબ મોટું નુકસાન થયું હતું. અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારે સર્વે કરીને રિપોર્ટ બાદ ખેડૂતોને સહાય મળશે તેવી વાત આજથી ચાર મહિના પૂર્વે કરી હતી. સર્વે થયો સરકાર સુધી સર્વેની વિગતો પહોંચી પરંતુ આજ દિન સુધી ચોમાસા દરમિયાન થયેલી અતિવૃષ્ટિના નુકસાનની સહાય હજુ સુધી ખેડૂતને મળી નથી. આ તરફ માવઠું પડ્યા બાદ સરકારે વધુ એક સર્વે અને સહાયની વાત કરી છે જેને ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતો છેતરામણી જાહેરાત ગણાવીને ખેડૂતો સાથે સરકાર મજાક કરી રહી છે તેની સાથે સરખાવીને સરકારની આ જાહેરાતનો વિરોધ કર્યો છે.
બનાસકાંઠાના ખેડૂતોમાં આક્રોશ
બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈને અનેક ખેડૂતોને પાકોમાં નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેને લઈને કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા આજે જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે નુકસાન નથી થયું તેવા ખેતીવાડી અધિકારીના નિવેદન સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને તાત્કાલિક સર્વે કરવા માટેની માગણી કરી હતી.
બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન
છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ હતો અને વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે. રવિ પાક ખરીફ પાક અને બાગાયતી પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન છે અને જેને લઈને ખેડૂતો સર્વે કરીને સહાયની માંગ પણ કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને સર્વે કરીને નુકશાન થનાર ખેડૂતો ને તાત્કાલિક સહાય કરવાની માંગ કરી હતી. આ પછી કિસાન સંઘનાં આગેવાનો ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી પર પહોંચ્યા હતા. આ દરમિયાન ખેડૂતોને પાકોમાં થયેલા નુકશાન નો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ કરી હતી. કિસાન સંઘ અને ખેડૂતોની રજૂઆત બાદ ખેતીવાડી અધિકારીએ જે નુકસાન થયું છે ત્યાં રિપોર્ટ મેળવીશું ત્યારબાદ સર્વે કરશું તેમ કહ્યું છે. જોકે ખેડૂતોએ જો તટસ્થ નુકસાની નો સર્વે નહીં થાય તો આગામી સમયમાં ચોક્કસ મુદતના ધરણા ઉપર ભારતીય કિસાન સંઘ અચોક્કસ મુદત ના ધરણા પર ઉતરી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરતના ખેડૂતો પણ જાહેરાતથી ખુશ નથી
આ તરફ સુરતના ખેડૂતો પણ સરકારના વળતર અને સર્વેની જાહેરાતથી ખુશ નથી. SDRF અને બે હેક્ટરની મર્યાદાના ક્રાઈટેરિયાથી ખેડુતો નાખુશ છે. 33 ટકા નુકશાનીના ક્રાઇટેરિયાથી ખેડૂતો ખુશ નથી. રાજ્ય સરકારની સર્વેની જાહેરાત ભૂતકાળની જેમ જ અધૂરી હોવાનો મત ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. આ સાથે સરકાર વળતર આપવાની પદ્ધતિ અને નિયમો બદલાવે તેવી ખેડૂતોની માંગ છે.