![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/chhatsgadh.webp)
છત્તીસગઢમાં થોડા સમયમાં નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય રાજધાનીમાં આયોજિત એક સમારોહમાં શપથ લેશે. આ પહેલા છત્તીસગઢમાં નક્સલી હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ નારાયણપુરમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો.આ હુમલામાં એક જવાન શહીદ અને અન્ય એક જવાન ઘાયલ થયો છે.
હુમલામાં એક જવાન શહિદ અને અન્ય એક જવાન ઘાયલ
નારાયણપુરની આમદાઈ ખાણમાં નક્સલીઓએ આ હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ અહીં IED પ્લાન્ટ કર્યો હતો. આ હુમલામાં CAF કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા છે. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી છે.
અગાઉ સુકમા જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો
આ પહેલા સોમવારે સુકમા જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. અહીં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ રોડ બનાવવાના કામમાં સુરક્ષા પૂરી પાડવા પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનના દિવસે પણ નક્સલવાદીઓએ નાપાક પ્રવૃત્તિઓ કરી હતી. ધમતરીમાં નક્સલવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. નક્સલવાદીઓએ પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર એક પછી એક IED બ્લાસ્ટ કર્યા હતા. જોકે, આ દરમિયાન બાઇક પર સવાર 2 CRPF જવાનોનો આબાદ બચાવ થયો હતો.
આ જ દિવસે નક્સલવાદીઓએ છત્તીસગઢના બિન્દ્રાનવાગઢમાં ચૂંટણી ફરજમાં લાગેલી ટીમ પર હુમલો કર્યો હતો. આ નક્સલી હુમલામાં ITBPનો એક જવાન શહીદ થયો હતો. બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પોલિગ ટીમ પરત ફરી રહી હતી ત્યારે આ IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.