નર્મદા જિલ્લાના તિલકવાડામાં મેણ નદીમાં વારંવાર આવતા પૂરના કારણે કાંઠા વિસ્તારમાં ધોવાણથી સ્થાનિક લોકોનું સ્થળાંતર
તંત્રને વારંવાર રજુઆત છતાં, ખુલ્લી આંખે એક વધુ બનાવ બનવાનો રાહા જોઈ રહ્યું છે
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/મેણ-નદી.webp)
નર્મદા જિલ્લાના તાલુકા મથક તિલકવાડામાં 2005માં મેણ નદીમાં આવેલાં પૂરના કારણે કાંઠા વિસ્તારમાં ધોવાણની શરૂઆત થઇ હતી જે આજે પણ યથાવત રહેતાં આગામી વર્ષોમાં કાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડે તેવા સંજોગો ઉભા થયાં છે.
સંરક્ષક દિવાલ બનાવવામાં આવે તેવી માગ સાથે સ્થાનિકોએ તંત્ર પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. તિલકવાડાએ નર્મદા નદીના કિનારે વસેલું નગર છે. તિલકવાડામાં જ મેણ અને નર્મદા નદીનું સંગમ સ્થાન આવેલું છે. પરંતુ વર્ષ 2005માં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે મેણ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે કાંઠા વિસ્તાર પર આવેલો ઓવરો તથા મઢી વિસ્તારમાં આવેલા કેટલાક પ્રાચીન મંદિર અને મકાનો પાણીમાં ધરાશાયી થયા હતાં. ત્યારથી આજ દિન સુધી આ વિસ્તારમાં સતત માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને જો આજ પરિસ્થિતિ રહી તો કદાચ બે ચાર વર્ષમાં કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવીને ઊભી રહે તેમ છે. નદીના પ્રવાહથી સતત થઇ રહેલાં ધોવાણના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
પરંતુ આ સમસ્યાનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે ગામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહે છે અને આ તૂટી રહેલા નગરને બચાવવા માટે અને માટીના ધોવાણ ને રોકવા માટે કાંઠા વિસ્તારમાં સંરક્ષણ દિવાલ બનાવવા માટે ગામ લોકો દ્વારા માગ ઉઠવા પામી છે.