![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/મણિપુર.webp)
જાતિ હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરમાં સોમવારે કથિત રીતે ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના કારણે સ્થિતિને જોતા પાંચ જિલ્લામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
સોમવારે સાંજે મણિપુરના થોબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. જેના પગલે રાજ્યના પાંચ ખીણ જિલ્લાઓમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોર બંદૂકધારીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. બંદૂકધારીઓ છદ્માવરણમાં લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ ફોર વ્હીલરને આગ ચાંપી દીધી હતી. કાર કોની છે તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. ત્યારે માંડ માંડ શાંત થયેલા મણિપુરમાં સ્થિતિ ફરી વિકટ ન બને તેવા તંત્રએ પ્રયાસો શરૂ કરી દીધા છે.