14 લોકોના દુઃખદ મૃત્યુ, કંપનીના માલિક સામે FIR, તપાસમાં થયો મોટો ખુલાસો
મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. એક ઈજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક છે.
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/IMG_20240514_134336-780x470.jpg)
મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. એક ઈજાગ્રસ્તની હાલત હજુ પણ નાજુક છે. તો 70થી વધુ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જો કે તેમની હાલત ખતરાની બહાર છે, પરંતુ આ દુર્ઘટના બાદ મુંબઈના લોકોમાં ગભરાટનો માહોલ છે. પંતનગર પોલીસે એક્શન લેતા હોર્ડિંગ લગાવતી કંપની ઈગો મીડિયાના માલિક ભાવેશ ભીંડે વિરુદ્ધ FIR નોંધી છે.
પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો
ભાવેશ સામે IPC કલમ 304, 338, અને 337 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મહાનગરપાલિકાના અધિકારીઓએ હોર્ડિંગ લગાવવાની પરવાનગી આપી ન હતી. તે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં હવે મહાનગરપાલિકા દ્વારા પણ ભાવેશ સામે કાર્યવાહી કરવામાં આવશે.
14 લોકોના મોતની પુષ્ટિ
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને NDRFએ એક નિવેદન બહાર પાડ્યું છે. NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નિખિલ મુધોલકરે જણાવ્યું કે સર્ચ ઓપરેશન લગભગ પૂર્ણ થઈ ગયું છે. બે ટીમો સર્ચ ઓપરેશનમાં લાગેલી છે અને અત્યાર સુધીમાં 88 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એક ક્રેન તૈનાત કરવામાં આવી રહી છે, જેથી બેનરનો ગર્ડર ઉંચો કરી શકાય. આશંકા છે કે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. 15 કલાકમાં 88 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
મુખ્યમંત્રી શિંદેએ કરી વળતરની જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
આ સાથે જ તેઓએ કહ્યું છે કે, હું સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપું છું કે મુંબઈમાં લગાવવામાં આવેલા તમામ હોર્ડિંગ્સનું ઑડિટ કરો. મેં પોતે આ મામલાની નોંધ લીધી છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું છે કે હોર્ડિંગ્સ લગાવવા બદલ કંપનીના માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.