પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે રેમલ વાવાઝોડું લેન્ડ ફોલ થયું, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ
ચક્રવાતી તોફાન રેમલને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે.
કોલકાતાના દરિયા કિનારે રેમલ ચક્રવાતનું લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. આ દરમિયાન 130 Kmphની ઝડપે તેજ પવન ફુંકાશે. NDRF પૂર્વીય ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દરસિંહે જણાવ્યું કે ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. IMD અનુસાર લેન્ડફોલ સમયે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ બંગાળમાં NDRFની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે. ચક્રવાતની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ચક્રવાત રેમલનું કેન્દ્ર દરિયાકિનારાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આગામી 3 કલાક સુધી લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ રહેશે. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ શરૂ થયું છે. ‘રેમલ’ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે જેને કારણે ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે.
ચક્રવાતી તોફાન રામલનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. ગવર્નરએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં પીએમ મોદીએ આ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી.
1 લાખ લોકોનું સ્થળાંતર
બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે સુંદરવન અને સાગર ટાપુઓ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે.
કોલકાતામાં 15 હજાર જવાનો તૈનાત
ચક્રવાત પછીની પરિસ્થિતિનો સામનો કરવા માટે કોલકાતામાં લગભગ 15,000 નાગરિક કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે જણાવ્યું હતું કે, “અમે ભયભીત છીએ કારણ કે આ વાવાઝોડાની કોલકાતા પર અસર થવાની સંભાવના છે. હવામાન કચેરીની નવીનતમ માહિતી અનુસાર ચક્રવાતના કારણે 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. “
ચક્રવાતના લેન્ડિગ પહેલા કલકતામાં જોરદાર પવન
બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત પ્રધાન મોહમ્મદ મોહિબુર રહેમાને જણાવ્યું હતું કે ચક્રવાત ખતરાનો સામનો કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી છે. મોહિબુરે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્રે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે દરિયાકાંઠાના જિલ્લાઓમાં 4 હજાર સાઇક્લોન સેન્ટર આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે અને સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને પણ અસ્થાયી આશ્રયસ્થાનોમાં પરિવર્તિત કર્યા છે. તેમણે કહ્યું કે દરિયાકાંઠાના જિલ્લામાં ચક્રવાત ‘રેમાલ’નો સામનો કરવા માટે ચક્રવાત તૈયારી કાર્યક્રમ (CPP) હેઠળ 78 હજાર સ્વયંસેવકોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં અસર
ચક્રવાત રેમલ આગામી બેથી ત્રણ કલાકમાં પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ કરશે. ઉત્તર, દક્ષિણ 24 પરગણા, કોલકાતા, હાવડા, હુગલી, પૂર્વ મિદનાપુર, નાદિયા અને મુર્શિદાબાદ જિલ્લામાં ખૂબ જ ભારે પવન સાથે અતિ ભારે-અતિ ભારે વરસાદની સંભાવના છે. 26-27 મે, 2024 દરમિયાન પૂર્વ બર્દવાન, પશ્ચિમ મિદનાપુર, બીરભૂમમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
ટ્રેનોને સાંકળો અને તાળાઓથી સુરક્ષિત કરવામાં આવી
ચક્રવાત રેમલને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે શાલીમાર રેલ્વે સ્ટેશન પર સાંકળો અને તાળાઓની મદદથી ટ્રેનોને રેલ્વે ટ્રેક સાથે બાંધી દેવામાં આવી છે જેથી તેજ પવનને કારણે ટ્રેનો લપસી ન જાય.
બાંગ્લાદેશમાં અસર
બીજી તરફ ચક્રવાત રામલના કારણે બાંગ્લાદેશે મોટા પાયે ખતરાવાળા સ્થળોએથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચક્રવાતી વાવાઝોડું રેમાલ મધ્યરાત્રિ સુધીમાં ઉચ્ચ ભરતી અને ભારે વરસાદ સાથે બાંગ્લાદેશના સતખીરા અને કોક્સ બજારના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ત્રાટકી શકે છે. સમાચાર એજન્સી બીએસએસના જણાવ્યા અનુસાર ચક્રવાત ‘રેમાલ’ ઉત્તર દિશામાં આગળ વધવાની સંભાવના છે અને મધ્યરાત્રિ સુધીમાં મોંગલા નજીક પશ્ચિમ બંગાળના ખેપુપારા તટને પાર કરી શકે છે.