લોકસભા પહેલા ગુજરાતની રાજનીતિમાં મચ્યો ખળભળાટ! અમિત ચાવડા સિવાય તમામ MLA કોંગ્રેસ છોડી જશે તેવો દાવો
આગામી લોકસભાને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા પહેલા અમિત ચાવડા સિવાય તમામ ધારાસભ્યો પક્ષપલ્ટો કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/કોંગ્રેસ-780x450.jpg)
- લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાં દાવાનળ
- અમિત ચાવડા સિવાય બધા ધારાસભ્યો પક્ષપલટો કરશેઃસુત્રો
- ‘કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસને રામ-રામ કરે તો નવાઇ નહીંઃ સુત્રો
લોકસભાની ચૂંટણીની ભાજપ, કોંગ્રેસ તેમજ આપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસ તેમજ આપનાં ધારાસભ્યો દ્વારા રાજીનામાં આપવાની મૌસમ ચાલી રહી છે. હજુ પણ ઘણા ધારાસભ્યો રાજીનામાં આપી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે, લોકસભા પહેલા અમિત ચાવડા સિવાય તમામ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જશે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસનાં તમાં ધારાસભ્યો કોંગ્રેસને રામ-રામ કરે તો નવાઈ નહી. અમિત ચાવડા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથીઃ ચિરાગ પટેલ
ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા જ ચિરાગ પટેલના સૂર બદલાયા છે. ચિરાગ પટેલે હજુ પણ કોંગ્રેસ તૂટે તેવા આપ્યા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથી. ‘ડોનેટ ફોર દેશ’ અભિયાનના ચિરાગ પટેલે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.
લાંબા સમય બાદ ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ હતી
1990 બાદ પ્રથમ વખત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ હતી. ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપનો ગઢ ગણાતી ખંભાત વિધાનસભામાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યાં હતાં. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યાં હતાં.
ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છેઃ ઉમેશ મકવાણા
બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ધારાસભ્ય ઉમેશ યાદવ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ત્યારે આ બાબતે ઉમેશ મકવાણાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપમાં જોડાવાની વાતને વખોડી કાઢી છે. AAPના ધારાસભ્યો હેમંત ખાવા, સુધીર વાઘાણી સહિતના ધારાસભ્યો AAPના સંપર્કમાં છે..ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે.. હું અને મારા ધારાસભ્ય ભાજપમાં જવાના નથી. ભાજપ વિપક્ષના સભ્યોને દબાવવાની કોશીશ કરી રહી છે. તેમજ તેમણે જણાવ્યું કે કામ કરવા માટે સત્તા પક્ષમાં જઇને જ કામ કરી શકાય તેવું જરુરી નથી વિપક્ષમાં રહીને પણ કામ કરી શકાય છે.. અમે વિપક્ષમાં રહીને પણ બોટાદમાં 800 કરોડના વિકાસના કામ થઇ રહ્યા છે. તો આ તરફ પર ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ખેડૂતોને કડકડતી ઠંડીમાં પણ દિવસે વીજળી નથી મળી રહી. ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા.
બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ રદિયો આપ્યો
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટાની મૌસમ ખીલી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યએ રદિયો આપ્યો છે. આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો કે ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને રહીશું..