સાગબારાના પીરમંડાળા ગામમાં અડધી રાત્રે ઘરમાં ઘૂસીને મારમારતા 3 સામે ફરિયાદ નોંધાઈ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/download-10.jpeg)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પીરમંડાળા ગામે ત્રણ શખ્શોએ રાતના 3 વાગ્યાના સુમારે ઘરમાં ઘુસી 50 વર્ષીય ઈસમ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો.
સાગબારાના પીરમંડાળા ગામના નિશાળ ફળિયામાં રહેતા સુરેશ ભીમસિંહ વસાવાએ હસમુખ હીરાલાલ વસાવા, હર્ષિક રાકેશ વસાવા અને પ્રદીપ વિનોદ વસાવા સામે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આજ રોજ રાત્રિના ૩ વાગે દરવાજો ખખડાવવાનો આવાજ આવતા ફરિયાદીએ દરવાજો ખોલતા ઉપરોક્ત આરોપી હસમુખ હીરાલાલ વસાવા અચાનક તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો.
એટલી રાત્રે મારા ઘરમાં કેમ આવ્યો છે? તેમ પૂછતાં આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગાળા ગાડી કરવા લાગ્યો હતો. ત્યારે હર્ષિક રાકેશ વસાવા અને પ્રદીપ વિનોદ વસાવા પણ ઘરમાં ઘૂસી આવી ફરિયાદીને ઢીકાપાટુ માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ભાગવા જતા ફરિયાદી સુરેશ ભીમસિંહ વસાવાએ હસમુખ હિરાલાલ વસાવાને પાછળથી પકડી લીધો હતો. જેથી આરોપી વિનોદ વસાવાએ ફરિયાદીને માથામાં લાકડીનો સપાટો મારી આરોપીને ફરિયાદીની પકડમાંથી છોડાવી લીધો હતો.
જતા જતા હસમુખ હીરાલાલ વસાવાએ ફરિયાદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. મારામારીમાં ઈજાગ્રસ્ત થતાં ફરિયાદીને સારવાર પહેલા સાગબારાના સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સાગબારા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.