માંગરોળના કંટવા ગામે કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો
માંગરોળ તાલુકાના કંટવા ગામે નહેરમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇને સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢી પોલીસને બોલાવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં અને બિનવારસી હાલતમાં મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ગામની સીમમાં પસાર થતી નહેરમાં એક મૃતદેહ તરતી હાલતમાં નજરે ચડતા સ્થાનિકો નજીક દોડી ગયા ગયા અને મૃતદેહને બહાર કાઢી કોસંબા પોલીસને જાણ કરી હતી. કોસંબા પોલીસ તુરત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. મૃતકની ઉંમર અંદાજિત 30થી 35 વર્ષ છે. મૃતદેહની તપાસ કરવામાં આવતા જમણા હાથના કાંડાના ભાગે નવઘણ લખેલું છુંદનું અને કાંડાના ઉપરના ભાગે અંગ્રેજીમાં PB લખેલું છે. તેમજ ડાબા હાથના કાંડાના ભાગે હિન્દીમાં રાધા તથા વચ્ચેની આંગળી પર અંગ્રેજીમાં G લખેલું છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી તેઓના વાલી વારસ સુધી પહોંચવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.