![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
આદિવાસી સમાજનું બાહુલ્ય ધરાવતાં દેડિયાપાડા તાલુકામાં હાલ લોકોને વિવિધ પ્રલોભન આપી ધાર્મિક શ્રધ્ધા સાથે ખીલવાડ કરતી ટોળકી ફરી રહી છે. તમારા બધા કામો થઇ જશે તેમ કહી આ ટોળકી ગરીબ આદિવાસીઓ પાસેથી 10 થી 500 રૂા. પડાવી રહી છે. સાધુઓની ટોળકી ઘોડાગાડી સાથે વિવિધ ગામડાઓમાં ફરી રહી છે ત્યારે આ ટોળકીની તપાસ થવી જોઇએ તેવી માગ સ્થાનિકો કરી રહયાં છે.
દેડિયાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ મંત્રવાળી વીંટી પહેરીને તમામ કામો પૂરો કરો અને કરોડપતિ બનો દુઃખથી દૂર કરો જેવા માઈક ઉપર પ્રચાર પ્રસાર કરી 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની વીંટીનું વેચાણ કરી ગરીબ આદિવાસીઓને ઉલ્લુ બનાવવામાં આવી રહયાં છે. સાધુઓની ટોળકી ઘોડાગાડી લઇને ગામડે ગામડે ફરી રહી છે અને લોકોને ભરમાવીને તેમને અલગ અલગ પ્રકારની વીંટીનું વેચાણ કરી પોતાના ખિસ્સા ભરી રહી છે. ઘોડાગાડી આવતાની સાથે ગામલોકો તેને જોવા માટે એકત્ર થઇ જતાં હોય છે અને ત્યાં ભ્રામક વાતોમાં આવી જઇને વીંટીની ખરીદી કરતાં હોય છે.
દેડિયાપાડામાં પોલીસ વિભાગમાં પુરતી મહેકમ નહિ હોવાના લીધે ગામડાઓમાં તપાસ થઇ શકતી નહિ હોવાથી આવી ઠગ ટોળકીને મોકળુ મેદાન મળી રહયું છે. દેડિયાપાડા પોલીસ આ ટોળકીની તપાસ કરે તેવી સ્થાનિકો માગણી કરી રહયાં છે. લોકોને પણ સાવચેતી અને સાવધાની રાખવાની સ્થાનિકોએ સલાહ આપી છે.