![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/ranipura.webp)
નાંદોદના રાણીપુરા ગામમાં કોંગ્રેસનું શાસન હોવાથી વિકાસ કરવામાં આવતો નહિ હોવાનો આક્ષેપ ડેપ્યુટી સરપંચે કર્યો છે. વિકસિત ભારત યાત્રા લઇને આવેલાં ધારાસભ્ય દર્શના દેશમુખનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો હતો. તેમનું કહેવું છે કે, રાણીપુરા ગામની આસપાસના ગામોમાં વિકાસ થયો છે પણ અમારા ગામ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહયું છે. ગામના ડેપ્યુટી સરપંચ પ્રવીણ ચૌહાણ નું કહેવું છે કે અમારા ગામમાં કોંગ્રેસની બોડી છે.
માટે ભેદભાવ રાખી વિકાસનાં કામો થતા નથી બાકી આજુબાજુ નાં ગામોમાં ભરપૂર વિકાસ થયો છે.ધારાસભ્ય ડૉ.દર્શનાબેન આવ્યા એ સમયે અમે રજૂઆત કરી પરંતુ તેઓ કઈ સાંભળવા તૈયાર જ ન હતા. બે વર્ષ પહેલા રાણીપુરા ગ્રૂપ ગ્રામ પંચાયતનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું જે આજદિન સુધી બનાવાયું નથી. નલ સે જલ યોજના પણ કાગળ પર જ રહી ગઇ છે. 20 વર્ષ જૂની ગામની ટાંકી છે તેનું જ પાણી ગામમાં મળે છે.
સરકારમાંથી બધી યોજના આવે છે ખરી પરંતુ અમે કોંગ્રેસ વિચારધારા વાળા સરપંચ હોવાથી અમારા ગામ સાથે ભેદભાવ રાખી કામગીરી કરાવતા નથી. પંચાયત નું મકાન તોડી નાખ્યું હોવાથી હાલ અમે ગામની ગ્રામસભા કે મિટિંગ હોય તો ગામના કોમ્યુનિટી હોલ કે પ્રાથમિક શાળામાં બેસીએ છીએ. તેમાં કોમ્યુનિટી હોલ પણ જર્જરિત છે છતાં અમારે ત્યાં મિટિંગ કરવી પડે છે.