![](http://transparencynews.in/wp-content/uploads/2023/08/chaitrabhai-vasava.jpg)
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને લઈને જ્યાં રાજકીય પક્ષો રણનીતિ ઘડવામાં લાગ્યા છે. ભાજપની નજર ફરીથી ગુજરાતમાં તમામ 26 બેઠલો જીતવા પર છે, તો આ વખતે AAPએ જાહેરાત કરી છે કે તે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લોકસભા ચૂંટણી લડશે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે. ભરૂચની લોકસભા સીટ પર છેલ્લી 6 ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે.
ચૈતર વસાવા ક્યાંથી લડશે ચૂંટણી?
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી લડવાના છે અને પાર્ટીના હાઈ કમાન્ડને પણ તેમને કહ્યું છે તેઓ ભરૂચની લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે. અહીંથી તેઓ ભાજપના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટક્કર આપશે અને તેમણે આ બાબતે પોતાની તૈયારીઓ પણ કરી લીધી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વિધાનસભાના પરિણામ મુજબ જોઈએ તો રાજયની બારડોલી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને જામ જોધપુર બેઠક પર અમે બીજા નંબરે રહ્યા છીએ. એટલે આગામી દિવસોમાં આ બેઠકો પર અમારું ફોકસ રહેશે અને INDIA ટીમના ગઠબંધનમાં અમે આટલી સીટનો દાવો કરીશું.
AAP મનાવશે કોંગ્રેસને
વધુમાં ચૈતર વસાવા જણાવ્યું છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આ માટે મનાવવામાં આવશે અને ભરૂચ પર તેઓ ઉમેદવારી કરશે તેની તેમની સંપૂર્ણ તૈયારી છે. ત્યારે જોવાનું રહેશે કે આ લોકસભાની ચૂંટણી પર આદિવાસી નેતાઓની ટક્કર કેવી રહેશે.
નોંધનીય છે કે, ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠક તો ભાજપ પાસે છે. ત્યારે કોંગ્રેસ પાસે કશું મેળવવા જેવું કે ગુમાવવા જેવું નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી ઝંપલાવશે, તેની જાહેરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યા બાદ હવે AAPના પહેલા ઉમેદવારનું નામ સામે આવી ગયું છે. જોકે AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા વિશે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં જો બંને વચ્ચે ગઠબંધનમાં ચૂંટણી લડાશે તો ટિકિટની ફાળવણી જોવાનું રસપ્રદ રહેશે.