પોષણનું શોષણ: તંત્રના અયોગ્ય આયોજને ભારતના ભાવીને ખાઈમાં દકેલી દીધા
સુરત જિલ્લાના બાળકોના ભોજનમાંથી લીલા શાકભાજી અને મસાલા ગાયબ
![](http://transparencynews.in/wp-content/uploads/2023/07/માત્ર-હળદર-મીઠું-અને-મરચું-નાખી-બનેલો-ભાત-અને-પાણી-જેવા-દાળ.webp)
- સુરત જિલ્લાની સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજનના નામે બાળકોને પિરસાય છે પાણી જેવી દાળ અને મસાલા વગરનું ભોજન
ગુજરાતને કૂપોષણ મુક્ત કરવાની મોટી મોટી વાત કરતી આ રાજ્ય સરકાર પ્રાથમિક શાળાના બાળકોને પૂરતું પોષ્ટિક ભોજન પોહંચાડી શકતી ન હોવાનું સુરત જીલ્લામાં સામે આવ્યું છે. હાલમાં જિલ્લાના મોટે ભાગના તાલુકાઓની શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર પર ક્યાક દાળ નથી તો ક્યાક ચણા નથી જેમાં મહુવા તાલુકાનાં અમુક કેન્દ્રો પર તો તેલ સહિત દાળનો પણ પર્યાપ્ત જથ્થો નથી ત્યારે સંચાલકોએ બાળકોને ભોજન ખવડાવવું કપરું બન્યું છે. સાથેજ હાલ શાકભાજીના ભાવ વધારાને લીધે ભોજન માથી લીલા શાકભાજી અને સાથે સાથે મસાલાઓ પણ ગાયબ થઈ ગયા છે.
સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી કાર્યરત મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય ભરમાં વિવિધ ફરિયાદો અવાર નવાર આવતી રહી છે. ત્યારે તાજેતરમાં સુરત જિલ્લાની શાળામાં વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવાના નામે જાણે મજાક થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. મધ્યાહન ભોજન કેન્દ્રો ઉપર મુલાકાતો દરમિયાન સૂકા મરચામાં રંધાતી ખિચડી તથા થૂલીમાં ટામેટાં, રીંગણ, તેમજ બટાકા સહિતના શાકભાજી જોવા મળતા નથી અને માત્ર હળદળ અને મરચું તથા મીઠું નાખી પીળા કલરનો ભાત આપી ખિચડી ખવડાવી હોવાનું બતાવી બાળકો સાથે મધ્યાહન ભોજનને નામે મજાક થઈ રહી હોવાનું જિલ્લા ભરમાં જણાઈ રહ્યું છે.
મોઘવારીમાં બાળક દીઠ 3.16 રૂપિયાની કૂકિંગ બજેટમાં પોષણક્ષમ ભોજન આપવું મુશ્કેલ…
શાકભાજી, મરી-મસાલા અને બળતણ માટે ધી. 1 થી 5 માટે 3.16 રૂપીયા તો 6 થી 8 ના વિધ્યાર્થીઓ માટે કૂકિંગ કોસ્ટ માત્ર 4.72 રૂપિયા ચૂકવાઈ છે. હાલની મોઘવારીમાં આટલા રૂપિયામાં રસોઈ બનાવવી આ શક્ય છે ત્યારે મધ્યાહન ભોજન સંચાલકો વિધ્યાર્થીઓને ભોજન આપવા માટે મથામણ કરી રહ્યા છે જે બાબતે તંત્ર કોઈ યોગ્ય નિકાલ લાવે એ જરૂરી બન્યું છે.
મધ્યાહન ભોજન માટે અનાજનો જથ્થો પુરતો નથી મળતો…
તપાસ દરમિયાન માંડવી તાલુકામાં ઘઉં અને ચોખાનો જથ્થો જરૂરિયાત કરતાં અડધો મોકલાયો,બારડોલી તાલુકામાં દાળ અને ચણાનો જથ્થો મોકલાયો નથી, મહુવામાં તેલ સહિત દાણ ચણા ચોખા ઘઉંનો જથ્થો નથી, તો જિલ્લાના અન્ય માંગરોળ, પલસાણા, ચોર્યાસી, કામરેજ,ઓલપાડ તાલુકામાં પણ બાળકોના મધ્યાહન ભોકનમાં તેલ અને દાળનો જથ્થો તંત્ર દ્વારા મોકલવામાં જ ન આવ્યો.
દાળનો જથ્થો ખાવા લાયક ન હોવાથી પાછો મોકલાયો…
મધ્યાહન ભોજન માટે દાળનો જથ્થો યોગ્ય ન જણાતા દાળના સેમ્પલ ગાંધીનગર તપાસ માટે મોકલાયા હતા. જે દાળના નમૂના તપાસમાં ખાવા લાયક ન હોવાનું જણાતા જથ્થો રિટર્ન કરાયો હતો ટૂક સમયમાં દાળનો જથ્થો આવી જશે હાલ અગાઉનો સ્ટોક હોવાથી તે દાળનો ઉપયોગ થઈ રહ્યો છે.> હેમાંગીનીબેન, મધ્યાહન ભોજન અધિકારી, બારડોલી