![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/Notice-bord.webp)
- ચૈતર વસાવાએ વન કર્મીઓને માર મારી ગોળીબાર કર્યાનો આરોપ
- સમર્થકોએ બજારો બંધ રાખવા જયારે પંચાયતે ચાલુ રાખવા જણાવતાં ભારેલો અગ્નિ
- પોલીસે ધારાસભ્યના જિલ્લા પંચાયતના સભ્ય એવા પત્ની, અંગત મદદનીશ તથા ખેડૂતની ધરપકડ કરી, ધારાસભ્ય ફરાર હોવાથી શોધવા વિવિધ ટીમો કામે લાગી
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે બીટગાર્ડ તથા વન કર્મીઓને માર મારી હવામાં ગોળીબાર કરવાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તેઓ ભલે ફરાર હોય પણ દેડિયાપાડા નગરમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહયો છે.
ચૈતર વસાવાના સમર્થકોએ આજે શનિવારે દેડિયાપાડા બંધનું એલાન આપ્યું છે તો બીજી તરફ ચૈતર વસાવા સામે વિધાનસભાની ચૂંટણી લડેલાં હિતેશ વસાવાની માતા સરપંચ હોવાથી ગ્રામ પંચાયતે વેપારીઓને બંધમાં નહી જોડાવા માટે આહવાન કર્યું છે.
બંધ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારથી જ સમગ્ર નગરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાંથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત ચાર લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે પત્ની તથા અન્ય 3 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે જયારે ચૈતર વસાવાને ભાગેડુ જાહેર કરાયાં છે. ચૈતર વસાવાના સમર્થકોએ શનિવારે દેડિયાપાડા બંધના એલાનની જાહેરાત કરી છે તો ચૈતર વસાવાના કટ્ટર ગણાતાં હિતેશ વસાવાની સરપંચ માતાએ ગ્રામ પંચાયત વતી વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવા આહવાન કર્યું છે.
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે. રાજયની ભાજપ સરકારે રાજકીય કિન્નાખોરી રાખી સમાધાન થયેલી ઘટનામાં ખોટી ફરિયાદ દાખલ કરાવી હોવાના આક્ષેપ સાથે શનિવારે દેડિયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ઠેર ઠેર બોર્ડ મારવામાં આવ્યાં છે. તો બીજી તરફ દેડિયાપાડા ગ્રામ પંચાયતના સત્તાધીશોએ વેપારીઓ તથા લોકોને બંધમાં નહિ જોડાવાની અપીલ કરતાં દેડિયાપાડામાં હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ચૈતર વસાવાએ કોંગી આગેવાન સાથે મુલાકાત કરી હતી
ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ભરૂચ લોકસભા ક્ષેત્રમાં સક્રિય બન્યાં હતાં. સ્વ. અહમદ પટેલની પુણ્યતિથીના કાર્યક્રમમાં તેમણે તેમના દીકરી મુમતાઝ પટેલ સાથે મુલાકાત કરી હતી. મુમતાઝ પટેલને કોંગ્રેસમાંથી ટીકીટના દાવેદાર ગણવામાં આવે છે. થોડા દિવસો પહેલાં ચૈતર વસાવાએ નેત્રંગ પંથકમાં વર્ચસ્વ ધરાવતાં શકુર પઠાણના દીકરા શેરખાન પઠાણ સાથે પણ ગુપ્ત બેઠક કરી હતી.