ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર હોવાની આડકતરી રીતે જાહેરાત
ડેડીયાપાડામાં કોંગ્રેસે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/ડેડીયાપાડા.webp)
નર્મદાના દેડીયાપાડામાં APMC ખાતે કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાથે પ્રદેશ આદિવાસી કમિટીના આધ્યક્ષ ધારાસભ્ય અનંત પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, મહિલા આગેવાન જેરમાબેન વસાવા, ડેડીયાપાડા કોંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હાલ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈ આદિવાસી પટ્ટી અંબાજીથી ઉમરગામ સુધીની સીટો પર તમામ પક્ષોની નજર છે. જેમાં સૌથી હોટફેવરિટ સીટ છે ભરૂચની. જે સીટ પર ભાજપ કોંગ્રેસ અને આપનો ત્રીપાખીયો જંગ ખેલાશે.
ભરૂચ લોકસભા 2024માં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે એવી શક્યતા છે. ડેડીયાપાડાના કોંગ્રેસના કાર્યક્રમ પરથી એક એવો અંદાજો આવે છે કે, કોંગ્રેસના ઉમેદવાર ફૈઝલ પટેલ હોઈ શકે જોકે તેમણે આ બાબતે સ્પષ્ટતા કરી નથી. પરંતુ હું તો લડીશના બેનરો અને ફેઝલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે. આ કોંગ્રેસી કાર્યકરોના નારાને લઈને શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભરૂચ લોકસભા સીટ પર સ્વ.અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા, એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી કરે એવી કોંગ્રેસ આગેવાનો ઈચ્છા કરી રહ્યા છે.
એક બાજુ આમ આદમી પાર્ટીએ તો સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યો. હવે જો કોંગ્રેસે પણ ભરૂચ લોકસભાની સીટ પર ફૈઝલ પટેલને ઉતારવાનું નક્કી કર્યું હોય તો ગઠબંધન થવું અશક્ય છે. જો ગઠબંધન ના થાય તો સીધો ફાયદો ભાજપને થાય એ વાત નક્કી છે.
આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ લોકસભાની ચૂંટણી લડવાના છે. ધારાસભ્ય ચૈતર વસાવાની જાહેરાત અંગે ફૈઝલ પટેલે કહ્યું એ તેમની પાર્ટીનો વિષય છે. જ્યારે ઇન્ડીયા ગઠબંધનમાં જે નક્કી કરશે તેં જ ઉમેદવાર રહેશે. હાલ તો અમે પણ ઇચ્છીએ છીએ કે આ સીટ પર કોંગ્રેસ પણ લડે. જોકે આટલી મોટી જનમેદની ભેગી થતા એવું પણ લાગી રહ્યું છે કે, આદિવાસીઓ હવે કોંગ્રેસ તરફ વરી રહ્યા છે અને આદિવાસીઓના કામ કરે એવા લોકોને શોધી રહ્યા છે.
હવે આ પાર્ટીના ઉમેવારો વચ્ચે ભાજપ કોને ટીકીટ આપે તે જોવું રહ્યું, કેમ કે હાલમાં છ ટર્મથી જીતતા સાંસદ મનસુખ વસાવા પ્રબળ દાવેદાર છે અને તેઓ જ સીટ કાઢી શકે, પરંતુ ભાજપ કેવી ગેમ રમે છે તે જોવું રહ્યું.