![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાની પ્રતિમાની કામગીરી તંત્રએ અટકાવી દેતાં રોષ જોવા મળી રહયો છે.
આગામી દિવસોમાં હાઇવેનું વિસ્તૃતિકરણ કરવામાં આવનાર હોવાનું કારણ તંત્રએ રજૂ કર્યું છે પણ આગેવાનોએ કચેરીમાં પ્રતિમાનું અનાવરણ કરવાની ચીમકી આપી છે.
આદિવાસી આગેવાનોએ મળી બનાવેલી સમિતિ દ્વારા આદિવાસી સમાજના જનનાયક બિરસા મૂંડાની 15મી નવેમ્બરના રોજ જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ચાર રસ્તા પાસે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ હાલ મુર્તિ અનાવરણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
ત્યારે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડા ચોક પાસે નાનું સર્કલ બનાવવા કે જેના ઉપર મુર્તિ મૂકવાનું પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવી કામગીરી અટકાવી હતી. જે કામગીરી બંધ કરવામાં આવતા ગુરુવારે શેરખાન પઠાણ અને સમિતિના સભ્યો મામલતદાર કચેરીએ પહોંચી મુર્તિ મૂકવાના પ્લેટફોર્મની કામગીરી કેમ અને કોના ઇશારે અટકાવી તે અંગે જવાબ માંગ્યા હતા. તો બીજી તરફ મામલતદારે નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીએ પત્ર દ્વારા ચાર માર્ગીય થવાનો છે અને પ્રતિમા મૂકવામાં આવનાર છે ત્યાં ઓવરબ્રિજ બનનાર છે.જે માટે કામગીરી અટકાવી હોવાનું જણાવ્યુ હતું. પણ આગેવાનોને અસંતોષ જવાબ જણાતા હજી રોષ જોવા દેખાય છે.