![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/The-Two-Attackers-Are-Still-At-Large.webp)
સાગબારા તાલુકાના સેલંબા ગામમાં શાંત પડેલા માહોલમાં પુનઃ હુમલો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સાગબારામાં થયેલ કોમી ભડાકામાં ફરિયાદ નોંધાવનારા યુવાનને ધમકી અને હુમલો કરનારા બે ઈસમો હજુ પોલીસ પકડથી દૂર છે અને પોલીસ નાકાબંધી કરીને શોધી રહી છે.
આ બે હુમલાખોરો ઝડપાસે ત્યારે જ પોલીસને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો ખુલ્લા પડશે. હાલમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા સેલંબા ગામના લોકોને શાંતિની આપીલ કરી ખોટી અફવાથી દૂર રહેવા જણાવાયું છે.
નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બજરંગ દળ આયોજિત શૌર્ય યાત્રા ઉપર પથ્થરમારા બાદ બે કોમના ટોળા સામ સામે આવી જતા સ્થિતિ તંગ બની હતી. આ ગંભીર ઘટનામાં સાગબારા પોલીસ મથકમાં હિંદુ અને મુસ્લિમ એમ બન્ને કોમના મળી કુલ 40થી વધુ લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ મહંમદ વસીમ સલીમ શેખ નામના વ્યક્તિને 21 નામો કઢાવી નાખવા માટે મારી નાખવાની ધમકીની ઘટના બાદ કોમી તોફાનમાં ભોગ બનનારના ભાઈ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા સેલંબાનું વાતાવરણ તંગ બન્યું છે.
આખી રાત પોલીસની ટિમોએ SRP સાથે પેટ્રોલિંગ કરી વાતાવરણ બગાડવા દીધું નથી. એટલે લોકોમાં શાંતિ જોવા મળી જોકે રવિવારે પણ સેલંબ બજારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. હાલ સેલંબમાં લોકો દુકાન ખોલતા અને ગામડાના વેપારીઓ સેલંબમાં ખરીદી કરવા આવતા ડરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાંત પડેલા સેલંબા ગામમાં આ ફરી કોણ અશાંતિ ચાંપવાની કોશિશ કરી રહ્યું છે. જે બાબતે પોલીસ સઘન ચેકીંગ કરી રહી છે. ત્યારે નર્મદા પોલીસ હાલ સેલંબા બજાર ફરી ધબકતું થાય કોઈપણ ડર વગર ગ્રાહકો બજારમાં આવે એવી શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. એ દિશામાં પોલીસને ધીરે ધીરે સફળતા પણ મળી રહી છે. આ જે અસામાજિક તત્વોથી પણ પોલીસ હવે હાથ વેંત દૂર છે.