કીમ ગામે મોબાઈલ ટાવર ઉભું કરવા માટે ખોદેલ ખાડો મૂંગા પશુઓ માટે મોતનો દ્વાર બની રહ્યો છે
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/3f59cd44-70d3-4216-81c6-9db25cde3b81_1712583989699.webp)
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલા ગીતા નગરમાં એક ખાનગી કંપની દ્વારા ટાવર મૂકવા માટે મોટો ખાડો ખોદ્યો છે. જ્યાં કોઈપણ પ્રકારના બેરિકેટ મૂકવામાં આવ્યા નથી જેને લઇને મૂંગા પશુઓ આ ખાડામાં ખાબકી રહ્યા છે. ત્યારે વધુ એક વાછરડી આ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેને લઇને આજુબાજુના રહીશો સ્થળ પર દોડી ગયા હતા અને વાછરડીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે ટાવર કંપની દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ટાવર ના વિરોધમાં બે દિવસ અગાઉ સ્થાનિકોએ રજૂઆત કરી હતી
કીમના ગીતાનગર 2માં રહેણાક વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઇને હાલ મોટો ખાડો પણ JCBથી ખોદી દેવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા મોબાઈલ ટાવરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ અગાઉ બહોળી સંખ્યામાં ગીતાનગર 2માં રહીશો એકઠા થયા હતા અને કીમ ગ્રામ પંચાયત ખાતે પહોંચી હાજર તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી. જો આ ટાવર ઊભો કરવામાં આવશે તો તેઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ થશે તેવું પણ જણાવ્યું હતું.