તાપી જિલ્લામાં 1.41 લાખથી વધુનું 19 જેટલા ગ્રામ રોજગાર સેવકોએ ભ્રષ્ટાચાર કરી કૌભાંડ આચર્યું
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/2475b687-25a5-4f47-8ade-f38d242cb534_1705820027877.webp)
તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં 19 જેટલા ગ્રામ રોજગાર સેવકો દ્વારા મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરી એક લાખ 41 હજાર 891 રૂપિયાનું કૌભાંડ કરવામાં આવતા અલગ અલગ તાલુકાના વિકાસ અધિકારીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં વર્ષ 2015થી 2018 દરમિયાન મનરેગા યોજનામાં કૌભાંડ થયું હોવાની આશંકા જતા તપાસ અંગે SITની રચના કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના અલગ અલગ ગામોમાં ફરજ બજાવતા કુલ 19 જેટલા ગ્રામ રોજગાર સેવકો દ્વારા અલગ અલગ 38 જેટલા લાભાર્થીઓના એકજ પરિવારના એક કરતા વધુ જોબકાર્ડ ઓનલાઇન ઇસ્યુ કરી ઓનલાઇન મસ્ટર રોલ કાઢીને એકજ સમયે એકજ વ્યક્તિની ડબલ હાજરી ભરવામાં આવતી હતી.
કુલ 1 લાખ 41 હજાર 891 રૂપિયાની સરકારી નાણાની ઉચાપત કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી જેતે તાલુકાના TDO દ્વારા અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે 19 જેટલા ગ્રામ રોજગાર સેવકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવને લઈ તાપી જિલ્લા વહીવટી વિભાગમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આવા કૌભાંડીઓને વહેલી તકે કાયદાના સકાંજામાં લેવામાં આવે એ જરૂરી થઈ પડ્યું છે.
તાપી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સી.એમ. જાડેજા દ્વારા સમગ્ર કૌભાંડ વિશે જણાવવામાં આવ્યું હતું કે, તાપી જિલ્લાના કુલ ચાર તાલુકામાં મનરેગા યોજનાનું એક કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં નાણાકીય અનિયમિતતા અને નાણાકીય ગેરનીતીઓ એક સીટ તંત્ર દ્વારા બનાવેલી જે SITનો રિપોર્ટ સબમિટ કરતા કુલ ચાર તાલુકા નિઝર, કુકરમુંડા, ઉચ્છલ અને સોનગઢ વિસ્તારમાંથી 19 આરોપીઓ દ્વારા લાભાર્થીઓની 1,41,891 રૂપિયાની હાજરી અને નાણાકીય અને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરેલો છે. જે અંગેની ફરિયાદ સોનગઢ, ઉચ્છલ અને નિઝર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. એમ કુલ 4 ફરિયાદ છે સાથે પુરાવાઓ તેમજ અન્ય દસ્તાવેજી તપાસ ચાલુ છે. તેમ જ મસ્ટર રોલ અને અન્ય ફોટા ડોક્યુમેન્ટ ઉપર ખોટા લાભાર્થીઓ કરી અને ગેરનીતિઓ આચરવામાં આવી હતી.