![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
બારડોલી – વાકાનેર- વાલોડ-વેડછી માર્ગ બિસ્માર હાલતમાં હોય રસ્તો અનેક જગ્યાએ તૂટી ગયો હતો. માર્ગ ખખડધજ થતાં પેચ વર્ક કરી ગાડું ગબડાવી રહ્યા હતા. આખરે સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા માર્ગને પહોળો કરવા મુખ્યમંત્રીને ભલામણ કરી છે. ખરેખર માર્ગને ચાર માર્ગીય બનાવાની જરૂરિયાત હોય તે દિશામાં ભલામણ કરે તે ઇચ્છનીય છે.
બારડોલી – વાકાનેર- વાલોડ-વેડછી માર્ગ રસ્તો જે સુરત ધુલિયા નેશનલ હાઈવે અને ઇ.એસ.એચ 5 વાપી- શામળાજીને જોડતો ટુંકો રસ્તો છે, જે સુરત અને તાપી જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો છે. ત્રણ તાલુકા અને બે જિલ્લાને જોડતો માર્ગ હોય ટ્રાફિક ભારણ વધુ રહે છે. સદર રસ્તો ટૂંકો હોવાથી બુહારી, ઉનાઈ, વાંસદા, સાપુતારા, શિરડી,નાસિક કે પુના થઈ દક્ષિણ ભારતના જુદા જુદા ભાગોમાં જતા મળતી એક્સલ વાહનો જેવા કે કન્ટેનર, ટેન્કરો, મોટા ભારે વાહનો, લક્ઝરી બસો એટલા પ્રમાણમાં વહન કરતા હોય છે કે આગળના વાહનોને ઓવરટેક પણ કરી શકાતું નથી. માર્ગ બિસ્માર થયો હોય પેચ વર્ક કરી ગાડું ગબડાવામાં આવતું હતું.
આ રસ્તાને ચાર માર્ગીય કે જરૂરિયાત મુજબ 10 મીટર પહોળાઈનો બને તેની તાતી જરૂરિયાત છે. છેલ્લા દાયકામાં વાહન વ્યવહાર એ હદે વધ્યો છે કે આ માર્ગ પર મોટા વાહનોને ઓવરટેક કરવો એ ઘણી કપરી બાબત હતી. માર્ગ તૂટી જતા એના ઉપર પેચ વર્ક મારી માત્રા આશ્વાસન પૂરતી કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ વાલોડ-વાકાનેર-બારડોલી માર્ગને ચાર માર્ગીય કરવાની ખૂબ જ જરૂરિયાત હતી.
ઓવરટેકની લ્હાયમાં લોકોએ જીવો ગુમાવ્યા હતા. ગંભીર અકસ્માતો થયા હતા. ટ્રાફિકનું ભારણ ઘણું વધારે છે. ત્યારે માર્ગની દુર્દશા બાબતે સોશ્યલ મીડિયા પર તથા કેટલાક કાર્યકર્તાઓ દ્વારા રસ્તા બાબતે સાંસદ પ્રભુભાઈ વસાવાનાં ધ્યાન પર વાત લાવતા 28/12/2023નાં રોજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સુરત જિલ્લાના બારડોલી મહુવા તાલુકાના 6 જેટલા માર્ગ બનાવવા ભલામણ કરતાં વાલોડ-વાકાનેર -બારડોલી માર્ગ બનવાની આશા જીવંત થઈ છે.