![](http://transparencynews.in/wp-content/uploads/2023/11/319_1699368119654a4cb7e23bc_whatsappimage20231107at13119pm.webp)
આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલ પોલીસ ફરિયાદને લઈ ઠેરઠેર આદિવાસી સમાજ અને અન્ય સંગઠનો આગળ આવી સમર્થન આપી રહ્યાં છે.ત્યારે મંગળવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા , પૂર્વ ભરૂચ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, આગેવાન સંદિપ માંગરોલા, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી,હેમેન્દ્ર કોઠીવાલા, જ્યોતિબેન તડવી, ભરૂચ જીલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ સંજય વસાવા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરપત વસાવા તેમજ આદિવાસી સમાજના આગેવાનોએ નેત્રંગ ચાર રસ્તા ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવવામાં આવ્યું કે જંગલ અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવામાં ભાજપ શાસિત ગુજરાત સરકારે વિલંબ સાથે સંપૂર્ણ અમલ કરવામા આનાકાની કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખેડૂતોને જમીન માલિકીના હક્કો આપવામાં આવ્યા નથી. તેમજ તાજેતરમાં ડેડીયાપાડાના બોગજ કોલીવાડા ગામે સ્થાનિક ખેડૂતોનો કપાસનો ઉભો પાક જંગલ ખાતા દ્વારા નાશ કરવામાં આવ્યો. તેમજ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેનો પણ વિરોધ કરી આ ખોટી ફરિયાદ રદ્દ કરવા સાથે જંગલ ખાતાની ભૂલ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ છે.