ચૈતર વસાવાની પત્નીની નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/ચૈતર-વસાવા.webp)
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 3 આરોપીઓના જામીન માટે નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટમાં એડવોકેટ સુરેશ જોશી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. આગામી 29મી જાન્યુઆરીના રોજ એ અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ગુનામાં કુલ 9 આરોપી પૈકી ચૈતર વસાવા સહિત 6ને જામીન મળી ગયા છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન માટે અગાઉ તાલુકા, સેશન્સ અને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે આ તમામ કોર્ટે જામીન ના મંજુર કરતા અંતે સુપ્રિમ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી માટે હજુ સુધી સુનાવણી હાથ ન ધરાઈ નથી. એક તરફ જ્યાં સુધી પત્ની શકુંતલા વસાવાને જામીન ન મળે ત્યાં સુધી પોતે પણ જેલની બહાર નહિ આવે એવું ચૈતર વસાવાએ નક્કી કરી લીધું છે. એ જોતા સુપ્રિમ કોર્ટમાં શકુંતલા વસાવાના જામીન માટે રાહ જોવી પરવડે એમ ન હોવાથી શકુંતલાબેનની જામીન માટેની અરજી સુપ્રિમ પરત ખેંચી લીધી છે.
ચૈતર વસાવાના વકીલ સૂરેશ જોશી દ્વારા શકુંતલા વસાવા, ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર નાથાલાલ વસાવા અને અન્ય એક આરોપી રમેશ ગીંબાભાઈ વસાવાના જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી 25મી જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવી છે. આ અરજી અંગેની સુનાવણી 29મી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. જો એ દિવસે જામીન અંગે નિર્ણય ન લેવાય તો બીજે દિવસે નિર્ણય લેવાય એમ જાણવા મળ્યું છે. એ જોતા ચૈતર વસાવાએ પત્ની સાથે હજુ વધુ દિવસો જેલમાં રહેવું પડશે.