ડાંગના માજી રાજવીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવી રાજવીઓને સ્વર્ણમુદ્રા અર્પણ કરી ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો પ્રારંભ થયો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/ડાંગ-2.webp)
ડાંગના રાજવીઓનુ યથોચિત સન્માન સાથે આહવામાં ચાર દિવસીય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો હતો. અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે આહવાના રંગ ઉપવનમાં આયોજિત ડાંગ દરબારના ઉદ્દઘાટન સમારોહનુ ઉદ્ઘાટન કર્યું હતું. ડાંગના ડીડીઓ રાજ સુથારે પ્રાસંગિક વક્તવ્યમા ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરી હતી. તેમણે ડાંગ દરબારના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.
ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને ડાંગ દરબારના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ડાંગના માજી રાજવીઓનુ યથોચિત સન્માન કરાયું હતું. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી સન્માન કર્યુ હતુ. રાજવીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાનસોપારી, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદે સૌને ડાંગ દરબારમાં આવકારી, હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ડાંગ દરબારના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમા ઉપસ્થિત જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજૂ કરતા ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.
લોકસભાની ચૂંટણી આચાર સંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદનથી ભવ્ય શોભાયાત્રા નીકળી, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમાં નીકળેલી રાજવીઓની સવારી દરમિયાન તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી.