![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/મહેશ-વસાવા.webp)
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ભાજપ દ્વારા શનિવારની મોડી રાત્રે ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. BTP અધ્યક્ષ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના એંધાણને લઈ આદિવાસી પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ આ અંગે કહ્યું કે, ‘મહેશ નાસમજ છે, મિસ ગાઈડ કરવામાં આવ્યો છે’. વધુમાં તેમણે જણાવ્યું કે, ‘BJPમાં મારો છોકરો જાય કે બીજો કોઈ, અમે વિરોધ કરીશું’. ઉલ્લેખનીય છે કે, મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે.
મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ
ચૂંટણી મૌસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ BTP અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને મળ્યા હતા. જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયઈરલ થયા હતા. આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલ આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું.
‘મહેશ ના સમજ છે, મિસ ગાઈડ કરવામાં આવ્યો છે’
છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, મહેશ નાસમજ છે, મિસ ગાઈડ કરવામાં આવ્યો છે. હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય, અમે RSSના વિરોધી છીએ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું. લાલચ હોય, ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો ન હોય એવા લોકો બીજી પાર્ટીમાં જાય. RSS, ભાજપ, કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યાઓ ઊભી કરી છે. અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું.