ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી
![](http://transparencynews.in/wp-content/uploads/2023/10/કુંવરજીભાઈ-હળપતિ.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા.1લી ઓક્ટોબર, 2023ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને આજ રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉખલદા ગામના સાર્વજનિક હાઇસ્કુલ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ આદિજાતિ વિકાસ, શ્રમ-રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય મોહન કોંકણી, ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
ઉખલદા ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતાલક્ષી વિચારસરણીને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, પહેલા આપણે સૌએ પોતાનું ઘર આંગણું ચોખ્ખું રાખવાની ટેવ રાખીએ તો આપણી શાળા, આપણું ગામ અને આપણો દેશ ચોખ્ખો રહેશે. તેમણે વડાપ્રધાનનું વ્યક્તિત્વ સમગ્ર વિશ્વમાં અનેરૂ છે એમ જણાવી તેઓની પ્રેરણાથી ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સુત્રની સાથે સ્વચ્છતાને માટે એક કલાક ફાળવવા આહવાન કર્યું છે. ત્યારે તાપી જિલ્લામાં સ્વચ્છતાના શ્રમદાનમાં જનમેદની જોડાતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આજનો સફાઇનો કાર્યક્રમ આજ દિવસ પુરતો સિમિત ન રહે અને સ્વચ્છતાની ટેવને રોજિંદા વ્યવહારમાં વિકસાવવા ગ્રામજનોને ખાસ અનુરોધ કર્યો હતો.
તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 2,88,727 થી વધુ લોકોની જન ભાગીદારીથી શ્રમદાન દ્વારા અંદાજીત કુલ 46 ટન જેટલો કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નોન બાયોડીગ્રેડેબલ કચરા જેવા કે પ્લાસ્ટિક, કાચ, મેટલની વસ્તુઓ, ટાયર, વગેરેને નક્કી કરેલા કુલ 41 રુટ પ્લાન મુજબ ગામવાર વાહનો દ્વારા કલેક્શન કરી વ્યારા નગરપાલિકા રીસોર્સ સેન્ટર પર મોકલવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” (SHS) અંતર્ગત તમામ ગામોના વિસ્તારોમાથી અંદાજીત ૫૪૬ જેટલા Black spots એટલે એવા સ્થળ જ્યાં સામાન્ય રીતે ગામમાં કચરો નાખવામાં આવે છે એવા સ્થળોની ઓળખ કરી આ સ્થળોની સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી છે. તેમણે ગ્રામજનોને આ બ્લેક સ્પોટને સફાઇ બાદ ફરી ત્યાં કચરો ન નાખવા અને સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવા જાહેર અપીલ કરી હતી.આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત ઉપસ્થિત મહાનુભવો, બાળકો અને ગ્રામજનો દ્વારા સામુહિક સ્વચ્છતા શપથ લેવામાં આવી હતી. ઉખલદા સાર્વજનીક હાઇસ્કુલના પટાંગણમાં મંત્રી સહિત મહાનુભાવો શ્રમદાનમા સહભાગી બની સુકો અને ભીનો કચરો અલગ કરી નિકાલ કર્યો હતો. ઉખલદા પ્રાથમિક શાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની યશ્વી ચૌધરીએ સ્વચ્છતાનો સંદેશ રજુ કરી સૌને પોતાના ઘર અને આસપાસ સફાઇ કરી સ્વચ્છતા જાળવવા સંદેશ પાઠવ્યો હતો.