કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશબંધીની શરતે ધારાસભ્ય ચૈતરભાઈના જામીન મંજૂર
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/ચૈતર-વસાવા.jpeg)
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા છે. જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે 39 દિવસ બાદ કોર્ટે જામીન આપ્યા છે. આવતીકાલે તારીખ 23/01/2024ના રોજ ચૈતર વસાવાને જેલમાંથી મૂક્ત કરાશે.
1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર
રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ સુરેશ.કે.જોશીની દલીલને ધ્યાનમાં રાખી જજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન કોર્ટ જજ એન.આર. જોશીએ ચૈતર વસાવાના જામીન મંજૂર કર્યાં છે. જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાનાની હદમાં પ્રવેશવું નહીં એ શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ચૈતર વસાવાને જામીન તો મળ્યા, પરંતુ હજુ મુશ્કેલી ઓછી થઈ નથી.
ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદાની હદમાં પ્રવેશી શકશે નહીં
કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતો મૂકી છે કે તેઓ ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ નાસી કે ભાગી શકશે નહીં અને ટ્રાયલમાં પૂરતો સાથ આપવો પડશે. ચૈતર વસાવાએ ફરિયાદીને ધાક ધમકી આપી ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં.
મહિનાની પેહલી તારીખે પોલીસ સ્ટેશનમાં તારીખ ભરવા આવવું પડશે
ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા તથા ભરૂચ સિવાયના જે સરનામે રહેશે એ સરનામાની વિગતો અને મોબાઇલ નંબર ચૈતર વસાવાને રજૂ કરવાના રહેશે. ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ કોર્ટેની પરવાનગી સિવાય ગુજરાત રાજ્યની હદ છોડવાની રહેશે નહીં. જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર મહિનાની પેહલી તારીખે ચૈતર વસાવાએ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટસએપ કે અન્ય માધ્યમથી પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવવાની રહેશે.
શરત ભંગ કરશે જામીન થશે રદ
આવા કે અન્ય ગુના ચૈતર વસાવાએ ભવિષ્યમાં આચરવા નહીં. જો ચૈતર વસાવા ચાહશે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વેહલી ચલાવવા માટે અરજી કરી શકશે. જો ઉપરની કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન રદ કરવામાં આવશે.