નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા Vs વન વિભાગ કર્મચારી કેસમાં ચૈતરભાઈને એક મહિના સુધી અઠવાડિયામાં 2 દિવસ જેલમાં જઈ પૂછપરછ કરી શકવાનો આદેશ ફરમાવ્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/ચૈતરભાઈ.webp)
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 11 દિવસથી રાજપીપળાની જેલમાં છે. તેઓને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. તો બીજી બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એક મહિના સુધી જેલમાં જઈ તપાસ અધિકારી અઠવાડિયામાં 2 દિવસ પૂછપરછ કરી શકે છે તેવો હુકમ નર્મદા સેશન્સ કોર્ટે કર્યો છે. એટલે જેલમાં પણ તેઓની મુસીબત ઓછી થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી.
ડેડીયાપાડા ટ્રાયલ કોર્ટે વધુ 10 દિવસના નામંજૂર કરેલા રિમાન્ડને ડેડીયાપાડા તપાસ અધિકારી પીઆઈ પી.જે.પંડ્યાએ 20 ડિસેમ્બરે રિવિઝન અરજી કરી નર્મદા સેશન્સ કોર્ટમાં પડકારી હતી. નર્મદા પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી સમક્ષ વધુ 10 દિવસના રિમાન્ડ માટેની રિવિઝન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષે દલીલો બાદ 27મીએ કોર્ટે ચૈતર વસાવા સહિત અન્ય આરોપીની વધુ રિમાન્ડની અરજી અંશત: મંજૂર કરી છે.
સરકાર તરફે સરકારી વકીલ જે.જે.ગોહિલ હાજર રહ્યાં હતાં. જેમાં તપાસ અધિકારી અને સરકારી વકીલે રિવોલ્વર રિકવર કરવા અને અન્ય ઘણી હકીકતો બહાર આવી શકે તેમ હોય તેમજ વધુ રિમાન્ડ મંજૂર કરવા રજૂઆતો કરી હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૈતર વસાવાની પોલીસ એક મહિના સુધી જેલમાં સપ્તાહમાં 2 દિવસ સુધી પૂછપરછ કરી શકે છે તેઓ હુકમ કર્યો છે. જ્યારે રિવોલ્વરની રિકવરીના એકના એક મુદ્દે માગવામાં આવતા રિમાન્ડમાં કોર્ટે રિવોલ્વર સંતાડી હોય કે પુરાવાનો નાશ કર્યાનું જણાતું હોય તો પોલીસને આઈપીસી 201ની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરી શકે છે તેવી પણ ટકોર કરી છે.