ગુજરાત પાણી પુરવઠા યોજના હેઠળ બનેલ ટાંકીના નળમાં પાણીની જગ્યાએ હવા વહે છે!
![](http://transparencynews.in/wp-content/uploads/2024/03/ચોરવાડ-512x470.webp)
સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે પાણી પુરવઠા યોજના હેઠળ મોટા ખર્ચ સાથે ઉભી કરવામાં આવેલી પાણીની ટાંકી હાલમાં બંધ હોય લોકોને પીવાનું પાણી મેળવવા બાબતે મુશ્કેલી પડી રહી છે.આ યોજના અન્વયે ગામના ફળિયામાં પાઇપ લાઈન નાખવામાં આવી છે અને નળ રૂપી ચકલીઓ પણ ગોઠવવામાં આવી છે પરંતુ સમગ્ર યોજના બંધ છે.
સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે ચીખલી રોડ પર પાણી પુરવઠા વિભાગ દ્વારા અંદાજિત 20,000 લીટર પાણીની ક્ષમતા સાથેની ટાંકી ઉભી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગામ ના જુદા જુદા ફળિયા માં પાઈપલાઈન દ્વારા પીવાના પાણી ઘર આંગણે પહોંચાડવા માટેની યોજના ચોપડે દર્શાવી છે એ બાબતે નળ કનેક્શન પણ આપવામાં આવ્યાં છે અને સ્ટેન્ડ પોસ્ટ પણ ઉભા કરાયા છે. જો કે આ યોજના અન્વયે ટાંકી શરૂ કરાયાના થોડા સમય બાદ જ કોઈ કારણ સર સમગ્ર પાણી પુરવઠા યોજના બંધ પડી ગઈ હતી જેથી તે સમય થી જ ટાંકી બંધ પડી છે અને હાલ માં આ ટાંકી ગામ ની પાદરે શોભાના ગાંઠીયા સમાન ઉભી છે જ્યારે ફળિયાના લોકોએ પીવાનું પાણી બોર અને હેંડ પંપ મારફત મેળવવું પડે છે. આગામી દિવસોમાં કાળ ઝાળ ઉનાળો શરૂ થવા જઇ રહ્યો છે એ બાબત ધ્યાને લઇ પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા પાણી પુરવઠા યોજના શરૂ કરવા માટે જે કઈ મુશ્કેલી હોય એ દૂર કરવામાં આવે અને લોકોને ખરા અર્થમાં નલ સે જલનું સૂત્ર સાર્થક થાય એ દિશા માં કામ કરવા માં આવે એવી માંગ સ્થાનિકોએ કરી હતી.