લોકસભા પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પાટીલના હાથે કેસરિયો ખેસ પહેર્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/Congress-Leader-Haresh-Vasava-Joins-Bjp-In-Presence-Of-Cr-Paatil-In-Surat-780x470.jpg)
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને એકબાદ એક ઝટકા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટરોના રાજીનામા બાદ વધુ એક નેતાઓ મોટો ઝટકો આપ્યો હતો. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા હરેશ વસાવાએ આજે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.
સુરતમાં કોંગ્રેસના નેતાના કેસરીયા
નર્મદા જિલ્લાના રહેવાસી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મંત્રી હરેશ વસાવા સી.આર પાટીલના હસ્તે આજે ભાજપમાં સામેલ થવા માટે સુરત ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સી.આર પાટીલની ઓફિસમાં તેમને મળી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મંત્રી હરેશ વસાવાની સાથે સાથે કોંગ્રેસ કાર્યકરો રહેલા તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.
આવતીકાલે વધુ નેતાઓ ભાજપમાં જોડાશે
ગઈકાલે જ વડોદરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રણછોડભાઈ પરમારે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને કોંગ્રેસના ઉપપ્રમુખ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે અન્ય પૂર્વ કોર્પોરેટર અનિલ પરમારે પણ રાજીનામું આપી દીધું હતું. તો ગુરુવારે કોંગ્રેસના વડોદરાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 1 હજારથી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરવાના છે.
ખાસ છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે સી.આર પાટીલની નિમણૂંક થઈ હતી. ત્યારે સી.આર પાટીલે કહ્યું હતું કે, એમના દ્વારા પાર્ટીમાં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. કોઈપણ કોંગ્રેસીને પાર્ટીમાં લેવાશે નહીં. સી.આર પાટીલની આ વાત એક વાત જ સાબિત થઈ હતી. એમના નિવેદન બાદ પણ અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપનો ભગવો ધારણ કરતા રહ્યા છે.