ચૈતર વસાવાને સાથે રાખી ડેડીયાપાડા પોલીસે ફાયરિંગની ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન: રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં કરાશે હાજર
ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમ્યાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ચૈતર વસાવાએ કરેલા હવામાં ફાયરિંગ અંગે તપાસ હાથ ધરાશે.
![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/chaitar-vasava-780x450.jpg)
- ધારાસભ્ય ચૈતર વસાવાનાં રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા
- ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે ઘટનાનું કર્યું રિકન્ટ્રક્શન
- રિમાન્ડ બાદ પોલીસ જરુરી માહિતી મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે
ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન કર્મીને માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે એક મહિનાનાં લાંબા સમય બાદ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે કોર્ટે ચૈતર વસાવાનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમ્યાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું.
રિમાન્ડ પૂર્ણ થતા ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કરાશે
તેમજ પોલીસ બંદોબસ્ત સાથે તેમનાં ઘરે અને ખેતરમાં રિકન્ટ્રક્શન કર્યું હતું. ધારાસભ્યએ કરેલા ફાયરિંગ અંગે તપાસ હાથ ધરી હતી. વન અધિકારી પાસેથી લીધેલા પૈસા ક્યાં છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 40 દિવસ ચૈતર વસાવા ક્યાં હતા. તેની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. રિમાન્ડ બાદ પોલીસ જરૂરી માહિતી મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. ત્યારે રિમાન્ડ પુરા થતા ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાશે.
આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા એક માસથી તે ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. જે બાદ ચૈતર વસાવાએ હાઇકોર્ટેમાં જામીન અરજી મુકતા હાઈકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ ચૈતર વસાવા દ્વારા વીડિયો વાયરલ કરી પોલીસ સમક્ષ હાજર થવાનું જાહેર કરતા પોલીસ દ્વારા ચૈતર વસાવાને ઝડપી લેવા પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. તેમજ ડેડીયાપાડા જતા તમામ વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધરાયું હતું.
જાણો સમગ્ર મામલો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા.