કેજરીવાલે પૂછપરછમાં લીધા બે મંત્રીઓના નામ: EDના દાવાથી આમ આદમી પાર્ટીમાં હડકંપ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/કેજરીવાલ-780x470.jpeg)
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે ફરી દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ED તરફથી એએસજી રાજુએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) તરફથી રમેશ ગુપ્તાએ દલીલ રજુ કરી હતી. કેજરીવાલની હાજરીમાં ઈડીએ કોર્ટમાં કહ્યું કે, તેઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે પૂછપરછમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓના નામ આપ્યા હોવાનો ઈડીએ કોર્ટમાં દાવો કર્યો છે. કેસની સુનાવણી અંતે કોર્ટે કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલ મોકલી દીધા છે. આ કેસમાં કેજરીવાલ છેલ્લા 10 દિવસથી જેલમાં છે.
કેજરીવાલે આપ્યું આતિશી-સૌરભનું નામ
કેજરીવાલની ઉપસ્થિતિમાં ઈડીએ કોર્ટમાં કહ્યું કે, કેજરીવાલ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈડીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો કે, કેજરીવાલે પૂછપરછમાં આતિશી માર્લેના (Atishi Marlena) અને સૌરભ ભારદ્વાજ (Saurabh Bharadwaj)ને વિજય નાયર (Vijay Nair) રિપોર્ટ આપતો હોવાનું જણાવ્યું છે. જ્યારે ઈડીએ આ દલીલ કરી ત્યારે કેજલીવાલ ચુપ બેઠા હતા. આ કેસમાં તેમણે કોર્ટમાં બે મંત્રીઓના નામ આપ્યા હોય, તેવું પ્રથમવાર બન્યું છે.
EDએ AAP નેતાના નામ આપતા કેજરીવાલ ચૂપ
કેજરીવાલે ઈડીની પૂછપરછમાં કહ્યું કે, વિજય નાયર તેમને નહીં, પરંતુ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. આ કેસમાં મહત્વની વાત એ છે કે, જ્યારે ઈડીએ કોર્ટમાં આ દલીલ કરી, ત્યારે કેજરીવાલે તેમની દલીલનું ખંડન પણ ન કર્યું અને ચુપ બેસી રહ્યા. ઉલ્લેખનીય છે કે, ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન અતિશી ગોવાના પ્રભારી હતા.
નાયરે CM કાર્યાલયમાં કામ કર્યું છે, છતાં કેજરીવાલે ના પાડી
કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી કે, મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરનારા લોકો વિશે વિજય નાયરને માહિતી ન હોવાનો કેજરીવાલે દાવો કર્યો હતો, જોકે તેણે કાર્યાલયમાં કામ કર્યું હતું. જ્યારે આતિશીને આ મામલે પૂછાયું તો તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.
કેજરીવાલ ગેરમાર્ગે દોરી રહ્યા છે : ઈડી
ઈડીએ કોર્ટમાં કહ્યું કે, કેજરીવાલે હજુ સુધી પોતાના ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ આપ્યા નથી. ઈડીએ કહ્યું કે, જ્યારે પણ કેજરીવાલને સવાલ પૂછવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે, ‘મને ખબર નથી.. મને ખબર નથી…’ તેઓ બિલકુલ સહકાર આપી રહ્યા નથી અને ફોન પણ આપી રહ્યા નથી. તેઓ જાણીજોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારબાદ જ્યારે ઈડીએ તેમની કસ્ટડી માંગી, તો કોર્ટે કેજરીવાલને 15 દિવસના જ્યુડિશીયલ કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દીધા છે.
કેજરીવાલને 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં રખાશે
રાઉઝ એવન્યૂ કોર્ટે સુનાવણી બાદ કેજરીવાલના 15 દિવસના જ્યુડિશિયલ કસ્ટડી મંજૂર કરી તિહાર જેલ મોકલી દીધા છે. તેમને 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં રખાશે. આ દરમિયાન કેજરીવાલે વકીલ દ્વારા એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે ભગવદ્ ગીતા, રામાયણ અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીની પુસ્તક ‘હાઉ પ્રાઈમ મિનિસ્ટર ડિસાઈડ’ પુસ્તકો જેલમાં લઈ જવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે જરૂરી દવાઓની પણ માંગ કરી છે.