અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન નેત્રંગ ખાતે સભા સંબોધશે
8મી જાન્યુઆરીએ જીતનગર જેલમાં AAP MLAની મુલાકાત કરશે
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/chaitar-vasava.webp)
- દિલ્હી-પંજાબના CM ચૈતર વસાવાને જેલમાં મળવા જશે
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ છેલ્લા ઘણાં દિવસોથી જેલવાસ ભોગીવી રહ્યા છે. તો બીજી બાજુ 7મી જાન્યુઆરીએ ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન જાહેર સભાને સંબોધન કરવાના છે. આ સભાને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓએ ડેડીયાપાડા અને ભરૂચ ખાતે ધામા નાખ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન ચાર્ટર પ્લેનમાં 7મી જાન્યુઆરીએ સવારે સુરત ખાતે આવી પહોંચશે. ત્યાંથી મોટર માર્ગે સીધા જ નેત્રંગ ખાતે જાહેર સભામાં હાજરી આપશે. આ જાહેરસભા પૂર્ણ થયા બાદ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સીધા જ ચૈતર વસાવાના ગામ બોગજ ખાતે એમના પરિવારની મુલાકાતે જવાના હોવાની પણ સુત્રો દ્વારા માહીતી મળી રહી છે. ચૈતર વસાવાના પરિવાર સાથે મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન ચૈતર વસાવાને મળવા રાજપીપળા નજીક જીતનગર જેલમાં જવાના હતા, પરંતુ એ દિવસે રવિવાર હોવાથી જેલ મુલાકાત બંધ હોય છે. એટલે બંને મુખ્યમંત્રીઓ રાજપીપળાના નવા સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરી બીજે દિવસે 8મીએ સવારે જેલમાં ચૈતર વસાવાને મળવા જશે એવી સંભાવનાઓ છે.
આ બાબતે જેલ પ્રશાસનની મંજુરી મળી છે, પંરતુ નર્મદા પોલીસના જણાવ્યા અનુસાર હજુ બોગજ ગામ કે નર્મદા જિલ્લામાં અન્ય જગ્યાએ જશે એ અંગે પોલીસને જાણ નથી કે મંજૂરી માંગી નથી. બંને મુખ્યમંત્રીનો રૂટ કે પ્રોગ્રામ આવ્યો નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાને જેલ મુલાકાત માટેની મંજૂરી અર્થે સંબંધિત અધીકારીઓને લેખીત રજૂઆત કરી દેવાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતું બંને મુખ્યમંત્રીઓને ઝેડ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ હોવાને લીધે એમની સુરક્ષાને ઘ્યાને લઈ મુલાકાતની મંજૂરી ઉચ્ચ કક્ષાએથી કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે. ત્યારે હવે તંત્ર અરવિંદ કેજરીવાલ અને ભાગવત માનને તંત્ર મંજૂરી આપે છે કે કેમ એ જોવું રહ્યું.