ઉકાઈ ડેમના અસરગ્રસ્તોને 100 યુનિટ વીજળી મફત આપવા સમાજ સેવકોની માંગ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/ઉચ્છલ.webp)
ઉકાઈ ડેમ બનવાના કારણે અસરગ્રસ્ત બનેલા ઉચ્છલ અને અન્ય તાલુકાના લોકોને સો યુનિટ વીજળી મફત આપવા માટે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત થઈ હતી. ઉચ્છલ તાલુકાના આરકાંટી ગામે રહેતાં સામાજિક કાર્યકર્તા એવાં મનીષ પી વસાવા અને ભૂપેન્દ્ર વસાવાએ તાજેતરમાં ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને જુદા જુદા અધિકારીઓ સમક્ષ ઉચ્છલ તાલુકાના વિકાસ કામોની માંગણી બાબતે ચર્ચા કરી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને રૂબરૂમાં એક પત્ર ઓફિસે સોંપ્યો હતો. તેમાં જણાવ્યાં મૂજબ તાપી નો ઉચ્છલ તાલુકો સમગ્ર તયા રીતે ઉકાઈ ડેમ બનવાના કારણે અસરગ્રસ્ત બનેલો તાલુકો છે. આ ડેમ બનતી વખતે ખાસ કરીને ઉચ્છલ તાલુકાના ખેડૂતો ની જમીન સંપાદિત થઈ હતી જેથી તેઓ જમીન વિના લાચાર બન્યાં હતાં, જે તે સમયે તેમને રોજગારી અંગેનું વચન આપવામાં આવ્યું હતું પણ એ પણ પૂરે પૂરું પાળવામાં આવ્યું નથી.
હાલમાં ઉચ્છલ તાલુકાના આદિવાસી સમાજના અસરગ્રસ્ત બનેલાં પરિવાર ના લોકો ખેત મજૂરી કે અન્ય કામો કરી માંડ માંડ જીવન ગુજરાન ચલાવે છે. મોંઘવારીના આ જમાનામાં ઘર પરિવાર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે તેવા સમયે ઘરમાં વપરાશમાં આવતી વીજળીનું બિલ ભરવામાં પણ તેઓ મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ઉકાઈ ડેમમાં ચોમાસા દરમિયાન હાઈડ્રો યુનિટ શરૂ કરી લાખો યુનિટ વીજળીનું ઉત્પાદન લેવામાં આવે છે એ સાથે જ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં પણ મોટા પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય છે જે સમગ્ર ગુજરાતમાં પુરુ પાડવામાં આવે છે.
આમ આ સ્થિતિમાં ઉકાઈ ડેમ બનવાથી જેમણે પોતાની મહામૂલી જમીન ગુમાવી હતી તેઓને નજીક જ વીજળી ઉતપન્ન થતી હોવા છતાં પૂરો ભાવ અન્ય ગ્રાહકની માફક ચૂકવવો પડે છે જે તેમના માટે અન્યાય કર્તા છે. રજૂઆતકર્તા અરજદારો દ્વારા આદિવાસી સમાજ માટે સંવેદનશીલ ગણાતી રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે વીજ વપરાશના પ્રથમ 100 યુનિટ મફત આપવામાં આવે તેવી માંગ મુકવામાં આવી હતી.