![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/બજેટ-780x450.jpg)
- બજેટમાં સામાન્ય માણસ ક્યાં?
- કર માળખામાં કોઈ ફેરફાર નહીં
- 7 લાખ સુધીની આવક ઉપર કર નહીં
જ્યારે પણ સરકાર બજેટ રજૂ કરે ત્યારે દેશનો સામાન્ય નાગરિક પાયાનો પ્રશ્ન કરે કે આ બજેટમાં મારા માટે શું છે. હવે ચૂંટણીનું વર્ષ છે એટલે આ બજેટ પૂર્ણકાલીન નહતું અને અપેક્ષાથી થોડું અલગ આ વચગાળાના બજેટમાં સરકાર બહુ મોટી લોકલક્ષી જાહેરાતોથી દૂર રહી. વચગાળાના બજેટમાં મોટેભાગે સરકારના 10 વર્ષના રિપોર્ટકાર્ડની જ વાત જોવા મળી. સરકારે એ આશ્વાસન ચોક્કસ આપ્યું કે જ્યારે પૂર્ણકાલીન બજેટ આવશે ત્યારે વિકસિત ભારતનો રોડમેપ આપવામાં આવશે. બજેટની ચર્ચાની સાથે અહીં અલગ ચર્ચાનો મુદ્દો એ પણ બને છે કે વચગાળાના બજેટમાં બહુ મોટી લોકલક્ષી જાહેરાત ન કરીને કદાચ આડકતરી રીતે સરકાર શું આશ્વાસ્ત છે કે તેઓ ફરી સત્તારૂઢ થશે જ? બજેટના કેન્દ્રમાં મોટેભાગે યુવા, મહિલા, ગરીબ અને ખેડૂત જ છે. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ખેડૂતો માટે આ બજેટમાં કોઈ જાહેરાત કરતા યોજનાલક્ષી ફાળવણી જ છે. આર્થિક બાબતોને સુપેરે જાણતા લોકો તો એમ પણ કહે છે કે દરેક વખતે સરકાર પાસે લોકપ્રિય બજેટની અપેક્ષા રાખવી વધુ પડતી છે, જેવી રીતે આપણે આપણા ઘરના મહિનાનો ખર્ચ મેનેજ કરીએ છીએ જેમાં ઓછું-વત્તું થતું રહે છે તેવું જ સરકારના કિસ્સામાં પણ કહી શકાય. વચગાળાના બજેટમાં યુવાનો, નોકરિયાતો, મહિલાઓ અને ખેડૂતો માટે કંઈ ખાસ છે કે કેમ. દર બજેટની જેમ આ વર્ષે પણ સામાન્ય માણસનો જે પ્રશ્ન છે કે આખા બજેટમાં તે ક્યાં ઉભો છે?
ખાસ લોકલક્ષી જાહેરાત નહીં કરાઈ
મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરાયું છે. વચગાળાના બજેટમાં કોઈ મહત્વની જાહેરાત નહીં કરાઈ. સરકારના 10 વર્ષના રિપોર્ટકાર્ડ સમાન બજેટ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કરમાં કોઈ ફેરફાર નહીં તેમજ સરકારને ત્રીજીવાર સત્તામાં પુનરાગમનનો વિશ્વાસ છે. સરકાર તરફથી ખાસ લોકલક્ષી જાહેરાત નહીં કરાઈ
2024નું વચગાળાનું બજેટ, 24 મુદ્દા
- ટેક્સ સ્લેબમાં ફેરફાર નહીં, 7 લાખ સુધીની આવક કરમુક્ત
- સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ ફ્રી વીજળી
- આંગણવાડી કાર્યકર, આશા વર્કરને પણ આયુષ્માન યોજનાનો લાભ
- લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડ મહિલાઓને જરૂરિયાત માટે લોન
- ઈલેકટ્રીક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન વધારાશે
- સર્વાઈકલ કેન્સર માટે વિનામૂલ્યે રસી
- રેલવેના 40 હજાર કોચ વંદે ભારત ટ્રેનના સ્તરના બનશે
- સિમેન્ટ અને કોલસાના પરિવહન માટે કોરિડોર વિકસાવાશે
- સંરક્ષણ બજેટમાં 3.4%નો વધારો
- યુવાનોને રિસર્ચ માટે વ્યાજમુક્ત લોન
- PM આવાસ યોજના હેઠળ નવા 2 કરોડ મકાન બનશે
- કૃષિ માટે 1.27 લાખ કરોડની ફાળવણી
- બ્લુ ઈકોનોમી અંતર્ગત પ્રવાસન ક્ષેત્રને વેગ
- ઉડાન યોજના હેઠળ નવા એરપોર્ટ બનાવાશે
- મેડિકલ કોલેજની સંખ્યા વધારવા સમિતિની રચના
- FDIનો પ્રવાહ 10 વર્ષમાં બમણો થશે
- પ્રતિષ્ઠિત પ્રવાસન કેન્દ્રને વિકસાવવા રાજ્યોને વ્યાજમુક્ત લોન
- મત્સ્ય સંપદા યોજના અંતર્ગત 55 લાખ નવી રોજગારી
- 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર
- વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા રાજ્યોને વ્યાજમુક્ત લોન
- સ્કીલ ઈન્ડિયા મિશન અંતર્ગત 1.4 કરોડ યુવાનોને તાલીમ
- 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
- 4 કરોડ ખેડૂતોને પાકવીમા યોજનાનો લાભ
- 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ
સસ્તા-મોંઘાના લેખાં-જોખાં શું?
GST લાગુ થયા બાદ સસ્તા-મોંઘાના સમીકરણ બદલાયા છે. હવે કસ્ટમ અને એક્સાઈઝ ડ્યુટી સંબંધી વસ્તુઓના ભાવની જ અસર વર્તાય છે. વચગાળાના બજેટમાં કસ્ટમ અને એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર થયા નથી. છેલ્લા એક વર્ષમાં દૂધ, ચોખા, ખાંડ, શાકભાજીના ભાવ વધ્યા તેમજ સોયાબીન તેલ, બટાટા, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. તાજેતરમાં સરકારે મોબાઈલ એસેસરીઝ પર લાગતી આયાત ડ્યુટી ઘટાડી અને હવે મોબાઈલ એસેસરીઝ ઉપર 15%ને બદલે 10% આયાત ડ્યુટી લાગશે. મોબાઈલ ફોન સસ્તા થઈ શકે છે.
વચગાળાનું બજેટ, સરકારનો સંકેત શું?
વચગાળાના બજેટમાં સરકારે લોકલક્ષી જાહેરાતો ન કરી તેમજ સરકારે વિકસિત ભારતના રોડમેપની વાત કરી છે. જુલાઈમાં પૂર્ણકાલીન બજેટમાં વિકસિત ભારતના રોડમેપનું વચન આપ્યું છે. સરકાર એકંદરે આશ્વસ્ત હતી કે તે ફરી સત્તારૂઢ થશે તેમજ સતત વિકાસ ઉપર સરકારનો ભાર અને બજેટ ચૂંટણીલક્ષી નથી એવો મેસેજ આપવા પ્રયાસ કરાયો છે. જનકલ્યાણકારી યોજનાઓ માટે સરકાર વચગાળાના બજેટના ભરોસે નહીં રહે. પૂર્ણકાલીન બજેટ સમયે જ સરકાર ભવિષ્યનો રોડમેપ દર્શાવશે.
સ્પષ્ટ સંકેત પાછળ પીઠબળ શું?
રાજકીય સમીકરણો જોતા સરકારને પુન:સત્તારૂઢ થવાનો વિશ્વાસ છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ માહોલ બદલાયો છે. જ્ઞાનવાપી પરિસરમાં પણ હિંદુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો તેમજ યુવા, ગરીબ, મહિલા અને ખેડૂત એમ ચાર જાતિની જ વાત કરાઈ છે. પ્રધાનમંત્રીએ ચાર જાતિની જ વાત કરીને અલગ સોશિયલ એન્જિનિયરિંગ કર્યું અને વચગાળાના બજેટમાં પણ યુવા, મહિલા, ગરીબ અને ખેડૂત ઉપર ધ્યાન રાખ્યું. વિપક્ષ વેરવિખેર અને દિશા વિનાનો થઈ ગયો છે. નીતિશ કુમાર જેવા દિગ્ગજ નેતાએ મહાગઠબંધનનો સાથ છોડ્યો છે.