![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
સુરત જિલ્લા પંચાયત દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની વ્યાપક ફરિયાદને પગલે ગાંધીનગર મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ તૈયાર કરાશે.
સુરત જિલ્લા પંચાયત દ્વારા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલા વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દર્શન નાયક દ્વારા રાજ્યના તકેદારી આયોગમાં કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકાના ઝિનોરા ગામમાં સોલાર લાઈટ લગાવવાનું કામ ટેન્ડર વગર આપી દઇને ચુકવણું પણ કરી દેવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકા પંચાયતના ગામોમાં બાંકડા મુકવાનો યુ.એન. સન્સને ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાં ઓર્ડર પ્રમાણે નક્કી થયા કરતા ઓછા બાંકડા મૂકવામાં આવ્યા હતા. તપાસ કર્યા વગર જ ચુકવણું કરી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ આક્ષેપને પગલે રાજ્યના તકેદારી આયોગ દ્વારા અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો આપ્યો છે, જેનો આગામી દિવસોમાં રિપોર્ટ તૈયાર કરાશે.