છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ સાથે અન્યાય કેમ? આખરે કેમ સમાજ તેને નથી સ્વીકારતો? જાણો તમામ સવાલના જવાબ
વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ અલ્પ છે પરંતુ કેટલાક વર્ષોમાં શહેરી વિસ્તારમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. છૂટાછેડાના કારણોની ચર્ચા જ્યારે કરવામાં આવે ત્યારે મોટેભાગે સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ
મહિલા દિવસ આવશે એટલે એક દિવસ પૂરતી મહિલાઓ તરફ સદવિચારો દર્શાવતી વાતો રજૂ કરવામાં આવશે પણ બારિકીથી નજર કરીએ તો વાસ્તવિકતા જુદી નિકળતી હોય છે. વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ સામાન્ય ચર્ચાઓ કરવા કરતા જો મુદ્દા આધારીત ચર્ચા થાય તો વધુ સાર્થક નિવડે એ વાત ચોક્કસ છે. અહીં વાત કરવાની છે તૂટતા લગ્નો પાછળ મોટેભાગે મહિલાઓને જ જવાબદાર ઠેરવી દેવાની વૃતિની. વાત જ્યારે વૃતિની આવે છે ત્યારે તેના પ્રત્યક્ષ પુરાવા નથી હોતા કારણ કે એક વ્યક્તિની વૃતિ સામી વ્યક્તિ અનુભવતો હોય છે એટલે જેને અનુભવ થયો હોય એ જ આ વાત જાણી શકે. વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ અલ્પ છે પરંતુ કેટલાક વર્ષોમાં શહેરી વિસ્તારમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું. છૂટાછેડાના કારણોની ચર્ચા જ્યારે કરવામાં આવે ત્યારે મોટેભાગે સ્ત્રી આર્થિક રીતે પગભર થઈ, એ વધુ પડતી સ્વચ્છંદ થઈ, પત્નીને સાસુ-સસરા કે નણંદ સાથે ફાવતું નથી એ પ્રકારની જ ચર્ચાઓ શરૂ થઈ જાય પણ એક સંબંધ વિચ્છેદ થાય છે એમાં એક જ પક્ષે જવાબદારી નક્કી કરવી એ જવાબદાર સમાજ તરીકે આપણા માટે કેટલું યોગ્ય છે. અનેક સરવેમાં એવા તારણ સામે આવ્યા છે કે જે સ્ત્રીઓના છૂટાછેડા થયા હોય તેમણે અનેક જાતીય સતામણીઓ કે અન્ય પુરૂષ તરફથી અભદ્ર વર્તન સહન કર્યાના દાખલા સામે આવ્યા છે. છૂટાછેડા લીધેલી સ્ત્રીનો સામાજિક સ્વીકાર અને છૂટાછેડા થયેલા પુરૂષના સામાજિક સ્વીકારમાં જમીન-આસમાનનો ફેર સર્વ સમાજે અનુભવ્યો જ હશે. કારણો દરેકને ખબર હશે પણ સ્ત્રીઓ મોટેભાગે આવા કિસ્સામાં સોફ્ટ ટાર્ગેટ છે તે દીવા જેવી હકીકત છે.
તૂટતા લગ્નો જવાબદાર કોણ
દુનિયાના અન્ય દેશની સાપેક્ષે ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં છૂટાછેડા વધ્યા છે. સામાન્ય સંજોગોમાં તૂટતા લગ્નો પાછળ મહિલાઓને જવાબદાર ઠેરવવામાં આવે છે. કદાચ પત્ની સીધી રીતે નહીં તો પરિવારજનોમાંથી જવાબદારોમાં કોઈ મહિલા હોય છે. તૂટતા લગ્નો પાછળ મહિલાઓને જ જવાબદાર ગણવાની વૃતિ કેમ?
તૂટતા લગ્નો, ભારત ક્યાં છે?
વિશ્વમાં ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ સૌથી ઓછું છે. છેલ્લા કેટલાક વર્ષથી ભારતના શહેરી વિસ્તારમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. વૈશ્વિક આંકડાઓની દ્રષ્ટિએ ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ માત્ર 1% છે, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં છૂટાછેડાના 50 થી 60% કેસ વધ્યા છે.
આ વાત નવાઈ પમાડે તેવી?
એક સરવે મુજબ ભારતમાં છૂટાછેડા માટે વધુ રજૂઆત પુરૂષો તરફથી હોય છે. પુરૂષો છૂટાછેડા માટે વધુ રજૂઆત કરે છે છતા દોષારોપણ મહિલાઓ ઉપર!
ભારતમાં તૂટતા લગ્નના કારણ શું?
- સામાજિક સમીકરણ બદલાયા
- મહિલા વધુ સશક્ત અને શિક્ષિત
- મહિલાઓ આર્થિક રીતે વધુ પગભર
- છૂટાછેડાનો સામાજિક સ્વીકાર કંઈક અંશે વધ્યો
- પ્રેમ અને સંબંધ તરફનો દ્રષ્ટિકોણ બદલાયો
- વ્યક્તિગત સુખને વધુ મહત્વ
- પારિવારિક ભાવાનાનું ઘટતું પ્રમાણ
- છૂટાછેડાને લગતા કાયદાઓમાં સુધારો
- ઘરેલુ હિંસા અને દહેજનું દૂષણ
- પતિ-પત્નીના અંગત જીવનમાં પરિવારની વધુ પડતી દખલ
- લગ્નેત્તર સંબંધ
- પરસ્પર સંવાદ ઘટ્યો
- મદ્યપાન વધવાથી શારીરીક હિંસામાં વધારો
- કારકિર્દી લક્ષી અભિગમથી દંપતિ વચ્ચે વધતું અંતર
- માનસિક સંતુલન જાળવવાનું ઘટ્યું
- સ્ત્રી-પુરૂષ વચ્ચે પરંપરાગત ભેદ
- મોટી વયે થયેલા લગ્ન
- વધુ પડતી અપેક્ષાઓ
- ધાર્મિક-સામાજિક ભેદરેખા
- સોશિયલ મીડિયા, ટેકનોલોજીનો પ્રભાવ
- લાગણીના સ્તરે બંને પક્ષે ટેકો નહીં
- આર્થિક બાબતે મતભેદ
- કામકાજને લીધે એકબીજાથી દૂર રહેવું
તૂટતા લગ્નોનો મહિલાઓ ઉપર આરોપ કેમ?
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ તરફથી આંકડા સામે આવ્યા હતા. અમેરિકામાં 2006માં છૂટાછેડા લીધેલી 33% મહિલા જાતીય હુમલાનો ભોગ બની હતી. ભારતમાં પણ છૂટાછેડા થયા હોય તે મહિલાના ચરિત્ર સામે પ્રશ્નો ઉભા કરાય છે. છૂટાછેડા લીધેલી સ્ત્રીને અન્ય પુરૂષની કુદ્રષ્ટિનો સામનો કરવો પડી શકે છે. જર્નલ ઓફ ફાર્માકોગ્નોસી તરફથી મેરઠની મહિલાઓ અંગે અહેવાલ પ્રકાશિત થયો હતો. મેરઠમાં કોર્ટમાંથી છૂટાછેડા લીધેલી 60 મહિલામાંથી તેના સરનામે 38 મહિલા જ મળી છે. સ્પષ્ટ અર્થ એ થાય કે મહિલાઓને તેના પરિવારે આશ્રય ન આપ્યો. છૂટાછેડા લીધેલા પુરૂષને સમાજ જલ્દી સ્વીકારી લે છે. છૂટાછેડા થયા હોય તેવા પુરૂષના બીજા લગ્ન પણ જલ્દી થઈ જાય છે. મહિલાને નવો સંબંધ જોડવો હોય તો તેના છૂટાછેડાના આધારે જજ કરવામાં આવે છે.