વેગન બ્લાસ્ટિંગથી થરથરી રહેલા અરેઠના ગ્રામજનોમાં પ્રચંડ રોષ પરંતુ જવાબદારો હજી તપાસ સમિતિનો લોપીપોપ પકડાવી રહ્યા છે
મોતના કૂવા જેવી 300 ફૂટથી ઉંડી ખાણમાં વારંવાર થતાં બ્લાસ્ટથી એક જ ફળિયાના 100થી વધુ મકાનોમાં તિરોડો પડી
![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/અરેઠ-ક્વોરી.webp)
માંડવીના અરેઠમાં ગ્રામજનો માટે અભિશાપ બનેલી ક્વોરી બંધ કરવા મુદ્દે ગ્રામજનોની લડત તપાસના સમિતીના નામે કચડી નાંખવાનો પ્રયાસ થયો છે. આ લડત વહીવટી તંત્ર અલગ રૂપ આપવાનો પ્રયાસ કરે છે. ખરેખર ગ્રામજનોની લડત સાચી કે ખોટીએ જાણવા માટે આજ દિન સુધી સ્થાનિક નેતા કે અધિકારીએ રસ લીધો નથી. આદિવાસીઓના ઘરોમાં તીરાડ પડતી રહી છે.bભુગર્ભ પાણીના જળસ્તર નીચા જઈ રહ્યા છે. છતાં પ્રજાની વાત કોઈ સાંભળવા તૈયાર નથી.
આ પરિસ્થિતિ જાણવા માટે ટ્રાન્સપરન્સી ન્યુઝ દ્વારા અરેઠ ગામની મુલાકાત લઈ ક્વોરી અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવાનોબપ્રયાસ કર્યો તો આમ તો આખું અરેઠ ક્વોરીમાં થતાં વેગન બ્લાસ્ટિંગથી થરથરે છે. પરંતુ સૌથી વધુ અસર અહીં અરેઠ ડુંગરી ફળિયામાં જોવા મળી હતી. ડુંગરી ફળિયાથી 150 મીટર દૂર ક્વોરી આવેલી છે. જેમાં થતું બ્લાસ્ટિંગના કારણે 100થી વધુ કાચા પાક ઘરોમાં તિરાડ પડી છે. અચાનક થતા બ્લાસ્ટિંગના કારણે ઘરો થરથરી ઉઠે છે. ઘરોમાં કંપન આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે દિવસમાં ત્રણથી ચાર વખત બ્લાસ્ટિંગ થાય છે. અમે દેવું કરીને પાક ઘર બનાવ્યા છે. દેવુ પરુ થયું નથી અને અમારો સપનાનો માળો તૂટી રહ્યો છે. સરકારી કચેરી અને અધિકારી કે નેતાઓને રજૂઆત કરીને હવે થાકી ગયા પણ અમારુ સાંભળવાવાળું કોઈ નથી. ઘર સાથો સાથે ભુગર્ભ પાણી નીચુ જતુ રહ્યું છે. પીવાનું પાણી સાથે ખેતીના પાણીની પણ સમસ્યા છે. ઉનાળોબઆવતાં જ આ સમસ્યા વિકરાળ બનશે. 300 ફૂટથી ઉંડી મોતની ખીણ તૈયાર કરી છે. તેની ફરતે કોઈ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી નથી. અરેઠ ગ્રામજનોએ ગત 10 ફેબ્રુઆરીએ આંદોલન કર્યું હતું. પણ પોલીસે બળ વાપરી આ આંદોલન કચડી નાંખ્યું હતું, અને તપાસનો મોટો લોલીપોપ આપી દીધો હતો. સમિતિનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી ક્વોરી બંધ રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગત રાત્રીથી ફરી બ્લાસ્ટિંગ શરૂ થઈ ગયું છે. ગ્રામજનોની લડત ચાલુ રહેશે ક્વોરી ઉદ્યોગ સામેના પ્રશ્નોનું નિરાકરણ જરૂરી છે.
અમારા ફળિયાની પાછળ ચાલતી સ્ટોન ક્વોરીથી અમને મોટું નુકસાન થાય છે. પાણીનું સ્તર ખુબજ નીચા જતા રહ્યાં છે. અમારે પાણી માટે વલખા મારવા પડે છે. વેગન બ્લાસ્ટિંગ થતાં હોવાથી અમારા ઘરોમાં તિરાડ પડી ગઈ છે. મોટું નુકસાન છે. બીજી તરફ ક્વોરી અમારા ખેતરમાં નજીક કોઈ બ્લાસ્ટિંગ કરવામાં આવે ત્યારે પથ્થરો અમારા ખેતરમાં આવે છે. જેથી અમે ખેતરમાં કામ પણ કરી શકતા નથી. અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે. પણ કોઈ નિરાકારણ આવ્યું નથી. ગાંધીનગરની ટીમ પણ સીધી વિઝીટ કરીને જતી રહી અમને જાણ કરવામાં આવી નથી. અરૂણાબહેન ચૌધરી, સ્થાનિક રહીશ, અરેઠ
દેવું કરી બનાવેલું ઘર તૂટવાને આરે
રોજ ત્રણ ટાઈમ બ્લાસ્ટિંગ થાય છે. કોઈ સમય નક્કી નથી. ધરતીકંપના આંચકાથી વધુ આંચકા બ્લાસ્ટિંગના કારણે અનુભવાય છે. આખું ઘર હલી જાય છે. દેવું કરીને ઘરો બનાવ્યા હતાં. દેવુ પુરુ થયું નથી અને બ્લાસ્ટિંગના કારણે ઘરો તૂટવાની આરે છે. ફરિયાદ કોને કરવી. ફરિયાદ કરીને અમે થાકી ગયા છે. ઘરોની સમસ્યા પાણીની સમસ્યા ઉનાળામાં પાણી પણ અન્ય ગામમાંથી લાવવું પડે છે. ટીનાબેન ચૌધરી,સ્થાનિક રહીશ, અરેઠ
10 દિવસમાં રિપોર્ટ કરવાનો હતો, 7 દિન બાદ સ્પોટ વિઝિટ પણ નથી થઇ
10 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો, 7 દિવસ છતાં હજુ સુધી કોઈ અધિકારીએ ગામની મુલાકાત લીધી નથી. અરેઠ ગામના આગેવાનો, ક્વોરીના આગેવાનો અને ભૂસ્તર તેમજ માંડવીના સ્થાનિક સરકારી અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. કુંવરજી હળપતિની વાતને માન્ય રાખી 29 તારીખ સુધી ક્વોરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ ક્વોરીના પ્રશ્નોને લઈ સમિતી રચાશે. 10 દિવસમાં ક્વોરીના પ્રશ્નોનો રિપોર્ટ તૈયાર થશે. આમા સત્ય શું છે ? તમામ રિપોર્ટ મેળવ્યા બાદ કુંવરજીહળપતિ સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, 7 દિવસ થઈ ગયા હોવા છતાં અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ અધિકારી આવ્યા નથી. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે રાત્રી દરમિયાન હજુ પણ ડુંગરી ફળિયાની પાછળ બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે.
પોલીસની ભૂમિકા સામે ગ્રામજનોમાં રોષ
સ્થાનિક ગ્રામજનો જણાવ્યા અનુસાર ગત 10મી ના રોજ આપવામાં આવેલું આંદોલન કચડવાનો પ્રયાસ થયો હતો. પોલીસે માંડ 18 મહિલાને રજૂઆત કરવા માટે માંડવી ખાતે જવાની પરવાનગી આપી હતી. અન્ય અગ્રણીઓને વાતચીતના બહાને એક કેબિનમાં નજરકેદ કરી દીધા હતાં. પોલીસની આ ભૂમિકાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કામગીરીને લઇ પોલીસની ભૂમિકા પણ તટસ્થ ન હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે.