સાદડકુવા નજીક ભારે વહેણને કારણે ગરનાળાનું પુરાણ ધોવાયું
![](http://transparencynews.in/wp-content/uploads/2023/09/sadadkuva-pul.webp)
સોનગઢ તાલુકાના સાદડકુવા ગામ પાસે થી વહેતાં કોતર પરના લો લેવલ ગરનાળા પાસેનું પુરાણ ભારે વરસાદી વહેણના કારણે ધોવાઈ ગયું હોય અહીં થી પસાર થતાં વાહનચાલકો માં અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે.
સોનગઢના કિલ્લા પાછળથી પસાર થતાં આ રોડ પર આવેલાં બેડવાણ, આછલવા, આમજી જેવા લગભગ વીસ કરતાં વધુ ગામના વાહન ચાલકો તાલુકા મથક સોનગઢ ખાતે અવરજવર કરે છે. અહીં સાદડકુવા ગામ નજીક એક કોતર વહે છે અને ચોમાસા દરમિયાન પડેલાં ભારે વરસાદ વખતે આ કોતર માં થઈ મોટા પ્રમાણમાં વરસાદી પાણી ના વહેણ પસાર થયા હતાં. આ વહેણના કારણે ગરનાળાની સાઈડ પર પુરાણ કરવામાં આવેલ માટી અને પથ્થર અને અન્ય મટીરીયલ હાલ માં ધોવાઈ ગયું છે અને રોડના નજીક એ સ્થળે ઊંડો ખાડો પણ પડી ગયો છે. આ ધોવાણની આસપાસ ઘાસ અને અન્ય વનસ્પતિ પણ ઊગી નીકળી હોય પહેલી નજરમાં આ ભંગાણ વાહન ચાલકો જોઈ શકતાં નથી. આ બાબતે માર્ગ મકાન વિભાગ તાકીદે ધ્યાન આપી ગરનાળા નજીકનું પુરાણ ફરીથી યોગ્ય સ્થળે પુરાવી દે એવી માંગ સ્થાનિક લોકો એ કરી હતી. જો ટૂંકા સમયમાં અહીં કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવશે તો અહીં અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.