- વન વિભાગ દ્વારા ૩.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલું પ્રવાસન સ્થળ એટલે “દેવઘાટ”
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલા ઉમરપાડા તાલુકાથી ૧૫ કિ.મી.ના અંતરે દિવતણ ગામની સીમમાં આંજણીયા નદી પરથી પડતા દેવઘાટના ધોધને માણવા માટે હજારો પ્રવાસીઓ ચોમાસા દરમિયાન ઉમટી પડે છે. સાંગ, મહુડા, લીબારા જેવા ગાઢ વૃક્ષોથી ઘેરાયેલું જંગલ અને પ્રકૃત્તિના વૈભવને માણવાનો લહાવો લેવા જેવો છે. ચોમાસામાં પ્રકૃત્તિ અહીં સોળે કળાએ ખીલી ઉઠે છે. અને આસપાસના જંગલ વિસ્તારમાં જાણે પ્રકૃત્તિનો વાસ થયો હોય એવા નયનરમ્ય કુદરતી દૃશ્યો જોવા અને માણવા મળે છે.
વન વિભાગ દ્વારા રૂ. ૩.૫૩ કરોડના ખર્ચે ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટનું નિર્માણ
ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત વન વિભાગ દ્વારા રૂ. ૩.૫૩ કરોડના ખર્ચે ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટનું નિર્માણ કરવામાં આવ્યું ચ્હે. અને અહી રહેવાની-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દેવઘાટ પ્રવાસન ધામનો વિકાસ કરાતાં પ્રવાસીઓને હરવા ફરવાનું ઉત્તમ સ્થળ છે. રાજ્ય સરકારે અહીં ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટનું નિર્માણ કરતા આ પંથકના ખાસ કરીને ખેતી ઉપર નભતા લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે. અને ઉમરપાડા તાલુકાનાં જંગલોથી ઘેરાયેલા દિવતણ ગામની સીમમાં આવેલા દેવઘાટથી આજુબાજુના વિસ્તારોનો પણ વિકાસ જોવા મળે છે.