ખેડૂતોને પૂરતી કલમ નહીં મળી તથા યોજનામાં ભ્રષ્ટાચાર પણ થયાના આક્ષેપ
ડાંગ જિલ્લાના ત્રણ તાલુકામાં વાડી યોજનાનો વિવાદ સર્જાયો
![](http://transparencynews.in/wp-content/uploads/2023/06/default-780x470.jpg)
ડાંગ જિલ્લામાં વાડી યોજનામાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ડાંગ કોંગ્રેસનાં પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી તપાસના આદેશ આપવા માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. થોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાનાં કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ જમનાદાસ જીવલભાઈ વાઢુ (વાડેકર)એ ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સુબીર તાલુકા પંચાયતની મનરેગાની ગ્રાન્ટ 2022-23 હેઠળ કરવામાં આવેલ કામગીરીની માહિતી આરટીઆઈ હેઠળ મેળવી હતી. જે બાદ જમનાદાસભાઈ વાઢુ અને મોતીલાલભાઈ ચૌધરી દ્વારા માહિતીની ચકાસણી કરાઇ હતી. જેમાં વાડી યોજના હેઠળ કરાયેલી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઇ આવ્યું હતું.
આરટીઆઇ હેઠળ મળેલ માહિતીમાં વાડી યોજનામાં જે પણ ખેડૂતો દર્શાવેલ છે અને તેની સામે આંબા કલમ 20, 50, 100, 200 અને 250 જે બતાવેલી જેમાં અમુક ખેડૂતોને પુરતી કલમ મળી નથી. જેથી તેઓએ ખેડૂતોને મળી ખેતરમાં જઇને રૂબરૂ ખાત્રી પણ કરી હતી. ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકા પંચાયતમાં વાડી યોજનામાં અધિકારીઓ દ્વારા જે ખર્ચ બતાવેલ છે જે કરોડો રૂપિયામાં થાય છે અને આ કરોડો રૂપિયા ક્યાં ખર્ચ કરાયો છે ? કોના મારફત ખર્ચ કરાયો છે? કોને ચૂકવણું કરાયું છે ? તેવા અનેક સવાલ સાથે તપાસની માંગ કરી છે.
વધુમાં ડાંગ વાડી યોજનાના લાભાર્થીને પૂછતાછ કરતા જાણવા મળ્યું હતુ કે, થોડી ઘણી કલમો કોઇને 20 કોઇને 100, 200, 250 ક્યાંક તો ખુટતી કલમો તેઓને મળ્યા હોવાનું જણાવે છે પરંતુ ખર્ચના નામે કોઇ પ્રકારના નાણાં આપવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે,આંબા કલમ (નુતન) એકંદરે રૂ. 50થી 60માં આવે છે પરંતુ આંબા કલમ કુલ 78,390ની કિંમત ભાગતા 180 રૂપિયા જણાય છે. બાકીના નાણાં કોઇને મળ્યા નથી. આ કરોડોનો ખર્ચ કરીને કોના ખિસ્સા ભરવામાં આવ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.
આ સમગ્ર મામલાને લઈને જમનાદાસ વાઢુ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તપાસના આદેશ આપવાની માંગ કરી છે. હાઇકોર્ટમાં જવાની કોંગી અગ્રણીની ચીમકી ડાંગ જિલ્લાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરી તથા જમનાદાસ વાઢુ કલેક્ટરમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે જો તેમની રજૂઆત અંતર્ગત નિયત સમયમાં કલેકટર દ્વારા જો યોગ્ય તપાસ નહીં કરાવાય તો ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.