![](http://transparencynews.in/wp-content/uploads/2024/02/ખેડૂત-આંદોલન-780x470.jpeg)
ખેડૂતોના ‘દિલ્હી ચલો’ આંદોલનના કારણે અવર-જવર કરી રહેલા પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઈ છે, જોકે હવે દિલ્હી પોલીસે તેમની મુશ્કેલી નિવારવા સિંધુ અને ટીકરી બોર્ડર પરના એક બાજુના માર્ગ પરથી બેરિકેડ હટાવવાનો નિર્ણય કર્યો છે.
સિંધુ-ટીકરી બોર્ડરથી દિલ્હી તરફ જતા રસ્તાનો એક ભાગ ખોલી દેવાયો
વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘અમે પ્રવાસીઓ માટે પોઈન્ટ-એથી પોઈન્ટ-બી સુધીના બેરિકેડનો એક ભાગ હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે પોલીસ અને અર્ધસૈનિક દળો 24 કલાક તહેનાત રહી સ્થિતિ પર નજર રાખશે તેમજ વાહનોની અવર-જવર બંધ રહેશે.’ સિંધુ અને ટીકરી બોર્ડર એક રસ્તો દિલ્હી તરફ જાય છે, જ્યાં એક નાના માર્ગ પરથી બે વિશાળ સીમેન્ટના બેરિકેડ હટાવાયા છે. પોલીસે પ્રવાસીઓના હિતમાં ગઈકાલે જ આ બેરિકેડ હટાવી નાખ્યા છે. આ ઉપરાંત દિલ્હી પોલીસે શહેરની ટીકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર સુરક્ષા કર્મચારીઓને સતર્ક રહેવા પણ આદેશ આપ્યો છે. આ દરમિયાન તેમણે મોકડ્રીલ પણ યોજી હતી.
પગપાળા અવર-જવર કરી રહેલા લોકોના હિતમાં બેરિકેડ હટાવાયા
દિલ્હી પોલીસના એક અધિકારીઓએ કહ્યું કે, ‘ત્રણેય બોર્ડર પર તહેનાત સુરક્ષા કર્મચારીઓને સતર્ક રહેવા અને કડક દેખરેખ રાખવા આદેશ અપાયો છે. દિલ્હી આવનારા અને દિલ્હીથી અન્ય સ્થળે જનારા પ્રવાસીઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જોકે અમે પહેલેથી અવર-જવર માટે એક માર્ગની વ્યવસ્થા કરી છે, પરંતુ જે લોકો પગપાળા અવર-જવર કરી રહ્યા છે, તે લોકો માટે અમે એક માર્ગની વ્યવસ્થા કરી છે, જેનાથી લોકો સરળતાથી રસ્તો પાર કરી શકશે.’
ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી વિરોધ નોંધાવ્યો
ઉલ્લેખનિય છે કે, ટેકાના ભાવ માટે કાયદો બનાવવા સહિતની માંગ મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનો 13મી માર્ચથી આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂત પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચાર વખત બેઠક યોજાઈ હતી, જોકે તમામ બેઠકો નિષ્ફળ ગઈ છે. આજે પણ ખેડૂતોએ ગાજિયાબાદમાં ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે વિરોધ પ્રદર્શન ક્યું હતું અને રાજ્યના ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલનના આજે 14માં દિવસે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ નિકાળવાની જાહેરાત કરાઈ હતી, જેને પગલે હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.