માંડવીના વિરપોર ગામે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઇન ઉભી કરવાનું ગેરકાયદેસર કામ શરૂ કરતા ખેડૂતોએ વિરોધ કર્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/8bfd171b-df13-48eb-a59d-4d4d5b2e23a2_1715696724900.webp)
સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિરપોર ગામ ખાતે તા.13/05/24 ને સોમવારના રોજ પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઇન ઉભી કરવાનું ગેરકાયદેસર કામ શરૂ કરવામાં આવતા ગામનાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોને કોઈપણ જાતની આગોતરી જાણકારી કરવામાં આવી નહોતી. ખેડૂતો દ્વારા પાવરગ્રીડનાં અધિકારીઓને જ્યારે આ વીજલાઈન વિશે માહિતી માંગવામાં આવી ત્યારે કોઈપણ જાતની માહિતી ખેડૂતોને આપવામાં આવી નહોતી.
ગામનાં ખેડૂતોએ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને સંપર્ક કરી ગતિવિધિથી વાકેફ કર્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે પરિમલ પટેલ આજ રોજ સ્થળ પર રૂબરૂ આવી પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર પાવરગ્રીડનો કાફલો પોલીસ સાથે હાજર હતો. પોલીસે જ્યારે મધ્યસ્થી કરી ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે આક્રોશિત ખેડૂતોએ જણાવી દીધું હતું. કે કામ બંધ કરો પછી જ કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવશે. કામ બંધ કરવામાં આવતા આખો કાફલો ખેડૂતો સાથે ગામમાં આવ્યો હતો.
જ્યાં પોલીસની મધ્યસ્થીમાં પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂત આગેવાનોએ એમની વાતોમાં વિરોધાભાસ દેખાતા પોલીસને પણ એની માહિતીથી અવગત કરાવ્યા હતા. જેમકે જ્યારે પ્રાંત અધિકારીઓની હાજરીમાં ખેડૂતો સાથેની મિટિંગમાં જે માહિતી પાવરગ્રીડ દ્વારા આપવામાં આવી હતી. એનાથી વિપરીત માહિતી આજે વિરપોર ગામ ખાતે આપવામાં આવી રહી હતી.
પાવરગ્રીડના અધિકારીઓઓ અલગ અલગ ડિપાર્ટમન્ટના હોવાના બહાના બતાવી ગલ્લા તલ્લા કરતા નજરે ચડ્યા હતા. ખેડૂતોએ જ્યારે આ વીજલાઇનને દરિયા કિનારે લઈ જવાની અથવા જમીનમાં અંન્ડર ગ્રાઉન્ડ લઈ જવાની વાત કરી ત્યારે આ અધિકારીઓ જમીનની નીચે લાઈન લઈ જવાના નુકશાન સમજાવતા હતા. ત્યારે ખેડૂતોએ ગુસ્સા સાથે જણાવ્યું હતું કે, જે અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઈનો અત્યારે અસ્તિત્વમાં છે એ કઈ રીતે ચાલે છે?
પરિમલ પટેલે પાવરગ્રીડના અધિકારીઓને પોલીસની હાજરીમાં જણાવી દીધું હતું કે કોઈપણ જાતની ધાકધમકીથી ખેડૂતોને ડરાવવાની કોશિશ કરશો નહિ અને પોલીસ કેસ કરવો હોય તો મારી પર કરો. ખેડૂતોને અભણ અને અસહાય સમજવાની ભૂલ કરશો નહિ. એમના દ્વારા સ્પષ્ટ શબ્દોમાંએ પણ કહેવામાં આવ્યું હતું કે, જ્યારે તમે તમારી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો કેવી રીતે કામ કરી શકો? અંતે જ્યારે પાવરગ્રીડ દ્વાર ખાત્રી આપવામા આવી કે જ્યાં સુધી આ બાબતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિજ લાઈનનું કામ ચાલુ કરવામાં આવશે નહિ ત્યારે ખેડૂતોએ સ્થળ છોડવાની તૈયારી દર્શાવી હતી.