ગુજરાતશિક્ષણ

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીઃ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની કરી ધરપકડ, કમિશનરે કર્યો મોટો ખુલાસો

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના કારણે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના DGP, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, IBના વડા, ક્રાઈમ JCP, સાઈબર ક્રાઈમના DCP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ત્યારે હવે પોલીસ દ્વારા 7 આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાંથી 2 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

2 આરોપીઓની કરાઈ ધરપકડ 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો પોલીસની અલગ-અલગ 9 ટીમો દ્વારા ઓરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.  ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં બપોર બાદ બહારની વ્યક્તિનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. તો પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન આવ્યું સામે

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાં શનિવારની રાતે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારપીટ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ (Randhir Jaiswal)નું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ‘ગઈકાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી. આ મામલે રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. શનિવારે બનેલી આ ઘટનામાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી એકને તબીબી સારવાર મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મામલાને લઈને વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે.’

શું છે સમગ્ર મામલો?

 અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના A બ્લોકમાં ગઈકાલે મોડી વિદેશી વિદ્યાર્થીઓ નમાજ પઢી રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા લોકોનું ટોળું હોસ્ટેલમાં ઘુસ્યુ હતું. આ દરમિયાન આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ કરી હતી. તો હોસ્ટેલમાં પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્ટેલમાં ઘુસીને માર્યો હતો માર 

આ મામલે અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમારી હોસ્ટેસમાં 150થી વધારે લોકોનું ટોળું ઘુસ્યું હતું, આ ટોળાએ અમારી નમાઝ બંધ કરાવી હતી અને અમને માર્યા હતા. તો હોસ્ટેલના રૂમમાં ઘુસીને તોડફોડ કરી હતી. અમારા વાહન, લેપટોપ સહિતની સામગ્રીમાં કોડફોડ કરી હતી.

‘આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે’

ગુજરાત યુનિવર્સિટીમાં પથ્થરમારા મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું હતું કે, પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક યુનિવર્સિટી પહોંચી હતી. અહીં નમાઝ કેમ પઢી રહ્યો છો કહેતા ઘર્ષણ થયું હતું. આ સમગ્ર મામલે ટીમ બનાવીને સમગ્ર ઘટનાને લઈ તપાસ ચાલુ કરી દેવાઈ છે. આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button