કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના પ્રમુખ કિરીટ પટેલનું રાજીનામુ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/કિરીટ-પટેલ.webp)
રાજ્ય સરકાર એકબાજુ બંધ થયેલી શુગર મિલોને ફરી શરૂ કરી રહી છે ત્યારે ઓલપાડના સરસ રોડ પર આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીનું છેલ્લા દસ વર્ષથી વધુ સંચાલન કરનાર પ્રમુખ કિરીટ પટેલ મંડળીમાંથી એકાએક રાજીનામું આપી દેતા ઓલપાડ પંથકમાં ચર્ચાનો વિષય શરૂ થયો છે.
ખેડૂતોમાંથી થતી ચર્ચા મુજબ મંડળીના ગેરવહીવટના કારણે શુગર મિલ બંધ થાય તો નવાઇ નહિ. ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ગત વખતની શેરડીના પાક નો હજુ છેલ્લા હપ્તો ચૂકવ્યો નથી. જેના અંદાજે 5થી 10 કરોડ ચૂકવવાના બાકી છે. જેથી આ વર્ષે ખેડૂતોએ શેરડીનો પાક બીજી શુગર મિલોને આપી દેતા આ પ્રશ્ન આવ્યો છે. હવે પ્રમુખે રાજીનામું આપી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કરોડો રૂપિયા ક્યાંથી ચૂકવાશે તે એક પ્રશ્ન છે. ઓલપાડ કાંઠા શુગર જ્યારે શરૂ કરવાની હતી ત્યારે મંડળી દ્વારા શેર બહાર પડાયા હતા.જેમાં જે શેરડીનું ઉત્પાદન કરે તે ખેડૂતની સાથે બિનઉત્પાદકને પણ શેર ઇસ્યૂ કરાયા હતા. તે વખતે મોટી સંખ્યામાં બિન ઉત્પાદકોએ શેર ખરીદ્યા હતા. આ આંકડો અંદાજે 40 હજારનો હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.
પ્રમુખના રાજીનામાને લઈને આજે બેઠક
કિરીટ પટેલ રાજીનામું આપી દેતા આ રાજીનામું સ્વીકારવું કે નહિ તેને લઈને મંડળીની સરસ રોડ પર આવેલી ઓફિસમાં સોમવારે વ્યવસ્થાપક સમિતિની બેઠક મળનારી છે. જેમાં રાજીનામાને લઈને નિર્ણય લેવાશે.